અમદાવાદઃ પૌંઆ એક એવી વાનગી છે, જે મહારાષ્ટ્ર, ગુજરાત તથા એમપીમાં ઘણી જ ખવાય છે. આમ પણ ઈન્દોરના પૌંઆ વર્લ્ડ ફેમસ છે. ઈન્દોરના લોકોને લઈ એમ કહેવાય છે કે તેઓ સપનામાં પ્રેમિકાને બદલે પૌંઆ જ જોવાનું પસંદ કરે છે. પૌંઆ એકદમ ઝડપથી તૈયાર થતી વાનગી છે. હવે તો ન્યૂટ્રિશનિટ પણ નાસ્તામાં પૌંઆ ખાવાની સલાહ આપે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આ પૌંઆની શોધ કોણે કરી હતી? આજે અમે તમારા માટે પૌંઆને લઈ કેટલીક રસપ્રદ બાબતો લઈને આવ્યા છીએ.
મોટા ભાગે લોકો પૌંઆની તુલના કોર્ન ફ્લેક્સ સાથે કરતા હોય છે. કોર્ન ફ્લેક્સને દૂધમાં પલાળીને ખાવાના હોય છે. ઘણાં તો એવા છે, જે એમ માને છે કે કોર્ન ફ્લેક્સની જેણે શોધ કરી તે કેલોગ્સવાળાએ જ પૌંઆની શોધ કરી છે.
પૌંઆનો ઈતિહાસ જૂનો
પૌરાણિક કથા પ્રમાણે, સુદામા જ્યારે કૃષ્ણને મળવા માટે ગયા હતાં ત્યારે તેઓ સાથે પૌંઆ લઈને ગયા હતાં. આ ઉપરાંત પૌંઆનો ઉલ્લેખ ગુલામ ભારતના ઈતિહાસમાં પણ મળે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, 1846મા જ્યારે ભારતીય સૈનિકોને દરિયાપાર લઈ જવામાં આવતા ત્યારે તેમને ભોજનમાં પૌંઆ જ આપવામાં આવતા.
પૌંઆને અંગ્રેજ શાસક સૈનિકો સંપૂર્ણ ભોજન માનતા હતાં અને આ બનાવવામાં પણ સરળ છે. આઝાદ ભારતની વાત કરીએ તો એકવાર પૌંઆ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 1960મા જ્યારે ચોખાની અછત હતી ત્યારે સરકારે પૌંઆ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આપણા દેશના લોકોને પૌંઆ એ હદે પસંદ છે કે દર વર્ષે સાત જૂને પૌંઆ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. પૌંઆ આખા દેશમાં ખવાય છે પરંતુ તેના નામ અલગ-અલગ છે, જેમ કે ચેવડો, ચપટા ચોખા, ચિડા, ચિઉરા, અવલ, અટુકુલ્લુ..
wow, amazing
wow, amazing
Great job