મુંબઈ: કહેવાય છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નથી મળતો. મેટ્ર્રો સિટી મુંબઈમાં 1bhkનો ફ્લેટ લેવો હોય તો પણ સામાન્ય લોકોએ હજાર વખત વિચાર કરવો પડે. જોકે એક ખેડૂતના દીકરાએ મુંબઈમાં ફક્ત ફ્લેટ નહીં પણ આખો બંગલો ખરીદ્યો છે.
મૂળ અમરેલીના દૂધાળા ગામના વતની અને સુરતના જાણીતા હિરાના બિઝનેસમેન સવજીભાઈ ધોળકિયા અને તેમના ભાઈ ઘનશ્યામભાઈએ ધમાકો ચમાવ્યો છે. ધોળકિયા પરિવારે મુંબઈના વરલી સીમાં અધધ 185 કરોડનો બંગલો ખરીદ્યો છે.
અંગ્રેજી અખબર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે સવજીભાઈ ધોળકિયાની હરે કૃષ્ણ (એચકે) એક્સપોર્ટે છ માળનું આખે આખું બંગલા ટાઈપનું બિલ્ડિંગ ખરીદ્યું છે. જે પહેલાં એસ્સાર ગ્રુપની માલિકીનું હતું. 20 હજાર સ્કવેર ફૂટની આ રેસિડન્ટ પ્રોપર્ટી સવજીભાઈના નાનાભાઈ ઘનશ્યામભાઈ ધોળકિયાના નામે રજીસ્ટર કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં અંદાજે 15 એપાર્ટમેન્ટ છે.
મુંબઈના વરલી સી-ફેસ ખાતે 120 હજાર સ્કવેર ફૂટમાં બનેલા આ લક્ઝુરિયસ ‘પનહાર’ બંગલોમાં ગાર્ડન સહિતની તમામ સુવિધાઓ છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર ઉપરાંત 7 માળ છે. આ બિલ્ડિંગમાંથી મુંબઈનો દરિયો પણ દેખાય છે.
આ બંગલો સવજીભાઈના નાનાભાઈ ઘનશ્યામભાઈના નામે ખરીદવામાં આવ્યુ છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે આજથી 32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યો ત્યારે 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેતો હતો. 1994ની સાલમાં એક BHKના ફ્લેટથી શરૂઆત કરી, ત્યાર પછી 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ 2001ની સાલમાં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો હતો. અત્યારે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું સાકાર થયું છે.
અંગ્રેજી અખબર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે અમે અમારા સ્ટાફ અને પરિવારના સભ્યોને રહેવા માટે મુંબઈમાં અમુક પ્રોપર્ટી શોધી રહ્યા હતા. આ પ્રોપર્ટી અમે એસ્સાર ગ્રુપ પાસેથી ખરીદી છે. આ પ્રોપર્ટીનું લોકેશન એવી જગ્યાએ છે, જ્યાંથી અમારા વર્કપ્લેસ અને ઓફિસ સુધી પહોંચવામાં ખૂબ સરળતા રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ((SEEPZ) SEZમાં છે. જ્યારે અમારી ઓફિસ બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં છે. મુંબઈમાં અમારી પહેલાંથી જ અમુક રેસિડન્ટ પ્રોપર્ટી છે. પણ આ નવી પ્રોપર્ટીથી વધુ કર્મચારીઓ અને પરિવારના સભ્યોને રહેવાની સગવડ મળશે.
નોંધનીય છે કે સવજીભાઈ ધોળકિયા સારુ પર્ફોર્મ કરનારા કર્મચારીઓને કાર અને ઘર ગિફ્ટ આપીને દેશભરમાં લાઈમ લાઈટમાં આવ્યા હતા. આજે સવજીભાઈ ધોળકિયાની હરે કૃષ્ણ (એચકે) એક્સપોર્ટેનું આજે વાર્ષિક 7000 કરોડનું ટર્નઓવર છે.
મૂળ અમરેલીના દુધાળા ગામના વતની સવજીભાઈ ધોળકિયાએ આ મુકામ સુધી પહોંચવામાં ખૂબ સંઘર્ષ કર્યો છે.સવજીભાઇ 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને સુરત આવ્યા હતા. સવજીભાઈએ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો.
સવજીભાઈએ 1980માં સુરતના મહિધરપુરા લીમડા શેરી ખાતે બે હીરાની ઘંટી શરૂ કરી હતી અને રૂપિયા 25 હજાર કમાણી કરી હતી. રૂપિયા 10 હજાર ઉછીના લઇને વરાછા રોડ ઘનશ્યામ નગરમાં રૂપિયા 35 હજારમાં મકાન ખરીદ્યુ હતું. સવજીભાઈએ બાદમાં મહિને એક લાખ રૂપિયા કમાવાનું લક્ષ્ય બનાવ્યું હતું. આ માટે 1 લાખ વ્યાજે લઇને નવેસરથી હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. બાદમાં સવજીભાઈ અને તેમના ભાઈઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
સવજીભાઈ અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે. તેમણે વતન દુધાળામાં અનેક તળાવો બાંધ્યા છે.
Fabulous, well executed