મુંબઈઃ 98 વર્ષની ઉંમરમાં દિલીપ કુમારનું સાત જુલાઈના રોજ નિધન થયું હતું. દિલીપ કુમારના નિધન બાદ તેમના પરિવારની ઘણી માહિતી બહાર આવી હતી. દિલીપ કુમારને કુલ પાંચ ભાઈઓ તથા છ બહેનો હતી. દિલીપ કુમારની એક બહેને જાણીતા ફિલ્મ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કે આસિફ સાથે લગ્ન કર્યાં હતાં. કે આસિફ એટલે એ ડિરેક્ટર જેમણે ‘મુગલ-એ-આઝમ’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં દિલીપ કુમારે સલીમનો રોલ પ્લે કર્યો હતો અને મધુબાલા અનારકલીના રોલમાં હતી. દિલીપ કુમારની બહેન અખ્તરે કે આસિફ સાથે લગ્ન કર્યાં હતાં.
બહેનના લગ્નથી નાખુશ હતાઃ દિલીપ કુમારને એ વાત સહેજ પણ પસંદ આવી નહોતી કે તેમની બહેને કે આસિફ સાથે લગ્ન કર્યા. જ્યાં સુધી કે આસિફ જીવ્યા ત્યાં સુધી દિલીપ કુમારે પોતાની બહેન સાથે કોઈ સંબંધો રાખ્યા નહોતા. કે આસિફના મોત બાદ અખ્તર ભાઈ દિલીપના ઘરે રહેવા આવી હતી. કે આસિફે કુલ ત્રણ લગ્ન કર્યા હતા, પહેલી પત્ની અખ્તર, બીજી પત્ની નિગાર સુલતાના તથા ત્રીજી પત્ની સિતારા દેવી. નિગાર સુલતાનાની દીકરી હિના કૌસર પણ એક્ટ્રેસ છે. તેણે દાઉદના રાઇટ હેન્ડ ગણાતા ઇકબાલ મિર્ચી સાથે લગ્ન કર્યાં હતાં. આ રીતે ઇકબાલ મિર્ચી અને દિલીપ કુમાર વચ્ચે સંબંધો હતા. આમ દિલીપ કુમારના પરિવાર માટે ઇકબાલ મિર્ચી ભાણેજ જમાઈ હતો.
કોણ હતો ઇકબાલ મિર્ચી? ઈકબાલ મિર્ચીનું સાચું નામ મેમન ઇકબાલ મોહમ્મદ હતું. મુંબઈના નળ બજારમાં મસાલા તથા લાલ મરચું વેચતો હતો. આ જ કારણે તે ઇકબાલ મિર્ચીના નામથી ઓળખાતો હતો. 1980ના દાયકામાં દાઉદના સંપર્કમાં આવ્યો હતો અને તેણે ડ્રગ્સનો કારોબાર શરૂ કર્યું હતું. ડ્રગ્સના કારોબારમાં ઇકબાલ મિર્ચી કુખ્યાત બની ગયો હતો. આમ ધીમે ધીમે તે દાઉદનો જમણો હાથ બની ગયો હતો.
દુબઈ ભાગી ગયોઃ 1993માં મુંબઈ બ્લાસ્ટ બાદ ઇકબાલ મિર્ચી દુબઈ ભાગી ગયો હતો. અહીંયા તેણે કે આસિફની દીકરી હિના કૌસર સાથે લગ્ન કરી લીધા હતા. પછી તે હિનાને લઈ લંડન જતો રહ્યો હતો. ઇકબાલના આ બીજા નિકાહ હતા. તેણે પહેલાં નિકાહ હાજીરા મેમન સાથે કર્યાં હતાં. આ લગ્નથી તેને બે દીકરાઓ આસિફ તથા જુનૈદ છે.
લંડનમાં ચોખાનો વેપારી બનીને રહ્યોઃ ઇકબાલ મિર્ચી લંડનમાં ચોખાનો વેપારી બનીને રહ્યો હતો. જોકે, અહીંથી તે પૂરા ડ્રગ્સ કારોબારનું સંચાલન કરતો હતો. મિર્ચી હિંદી, અંગ્રેજી તથા અરબી ભાષા પર સારું એવું પ્રભુત્વ ધરાવતો હતો. એક સમય હતો કે તેને દુનિયાના અનેક દેશોની પોલીસ શોધતી હતી. ડ્રગ્સના કારોબારમાં ઇકબાલે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી હતી. તેણે આ સંપત્તિ રિયલ એસ્ટેટમાં રોકી હતી.
1986માં ભારતમાં ઇકબાલનું નામ ચર્ચાયું: 1986માં થાનેના એક ફાર્મહાઉસમાં 9 કરોડ રૂપિયાની કિંમતનું 600 કિલો ડ્રગ્સ પકડાયું હતું. જોકે, મિર્ચી આ કેસમાંથી આબાદ બચી ગયો હતો. 1995માં પહેલી જ વાર ઇન્ટરપોલે લંડનમાં મિર્ચીની ધરપકડ કરી હતી. બ્રિટનમાં તે પુરાવા ના હોવાને કારણે બચી ગયો હતો. લંડનમાં 2001માં તેને રેસિડન્સી પરમિટ મળી ગઈ હતી.
કરોડોની સંપત્તિઃ ઇકબાલ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હતી, મોટાભાગની સંપત્તિ પોલીસે જપ્ત કરી લીધી હતી. જોકે, 1998માં બોમ્બે હાઇકોર્ટેના આદેશ પર મિર્ચી પરિવારના નામે રજિસ્ટર્ડ થયેલી અનેક પ્રોપર્ટી પોલીસના સંકજામાંથી છોડાવી લેવામાં આવી હતી.
લંડનમાં આલીશાન જીવન જીવતો હતોઃ ઇકબાલ મિર્ચીએ લંડનના ઉત્તર પૂર્વમાં હોર્નચર્ચ નામના વિસ્તારમાં છ બેડરૂમનું શાનદાર ઘર લીધું હતું. આ ઘરમાં ઇલેક્ટ્રોનિક ગેટ લગાવેલા હતા. ગેટની બાજુમાં જ ગેરેજ હતું અને તેમાં લક્ઝૂરિયસ કાર્સ પાર્ક કરેલી હતી. 63 વર્ષની ઉંમરમાં 2013માં ઇકબાલ મિર્ચીનું મોત થયું હતું. હાલમાં તેનો પરિવાર લંડનમાં જ રહે છે. હિના કૌસર પણ અહીંયા જ છે.
wow, amazing