ભગવાન,
માફ કરજે ભગવાન આજે તને કયા નામથી સંબોધન કરવું એ મહત્વનું નથી. તારા નામ તો હજારોમાં નહીં લાખોમાં છે. એમાં પણ ભારત જેવા દેશમાં તો કહેવાય છે કે 33 કરોડ દેવી દેવતાઓ છે. જોકે, કોણ જાણે કેમ આજે આ લાખો-કરોડો દેવી દેવતા છે કે કેમ એ વાતને લઈ મને શંકા કેમ થઈ રહી છે? ભગવાનનું અસ્તિત્વ હોત તો મારી લાડકી દીકરી ડો. પ્રિયંકા રેડ્ડીની આ રીતે હિચકારી હત્યા થઈ ના હોત? આ પહેલાં નિર્ભયા કાંડ ના થયો હોત ને આ પહેલાં અનેક માસૂમ દીકરોઓના જીવ ના ગયાં હોત…!
હે ભગવાન.. તું જો ખરેખર છે તો આ મા સામે કેમ તારી એક નજર નથી જતી..!! મારા વ્હાલા તું તો તારી માતાશ્રીને પણ છોડીને જતો રહ્યો હતો ને… (પછી એ ભગવાન ક્રિષ્ના હોય કે ભગવાન રામ… ) તો તારી પાસે કેમની અપેક્ષા પણ કરું હું તો…!
કહેવાય છે કે ભગવાને સૌ પહેલાં સ્ત્રીને અગ્રસ્થાન આપ્યું. આજે પણ પહેલાં સીતા-રામ, રાધા-ક્રિષ્ના એમ બોલાય છે.. એટલે કે ભગવાન પણ પોતાને બદલે એક દેવી એટલે કે મહિલાને પહેલાં સ્થાન આપે છે. તો હે ભગવાન, આજે શું થયું આ સમાજને?? કેમ આ સમાજ એક મહિલાને સલામતી આપી ના શક્યો?
જે દેવી કે મહિલાએ આ સમાજને બનાવ્યો, એ જ સમાજ આજે એને ગમે તેમ પીંખી રહ્યો છે.. કેમ ભગવાન.. જે સ્ત્રી આ દુનિયામાં એક નવો જીવ લાવે છે, એનો જ જીવ આજે જોખમમાં કેમ??
ભગવાન, તે તો ધૃતરાષ્ટ્રની ભરી સભામાં દ્રૌપદીના ચીર પૂરીને તેનું અપમાન થતાં બચાવ્યું હતું. તો આજે કેમ ધરતી પર આવીને ડો. પ્રિયંકા રેડ્ડી જેવી અસંખ્ય મહિલાઓના ચીર નથી પૂરતો?? તે તો 100 ગાળો આપનાર શિશુપાલને સુદર્શનચક્રથી વિંધી નાખ્યો હતો તો આજે ક્યા ગયું તારું એ સુદર્શન ચક્ર??
રાવણની અશોકવાટિકામાં સીતામા પવિત્ર હતાં છતાંય તેની અગ્નિપરીક્ષા લેવાઈ ને એક ધોબીને કારણે સીતામાતા ફરી જંગલમાં જતા રહ્યાં અને સલામત રીતે દીકરાઓ સાથે રહ્યાં……ભગવાન આજે તો એક એવી જગ્યા શોધી આપ કે જ્યાં મારી દીકરીઓ સલામત રહે. આજે તો ઘર હોય કે બહાર…સતત ડર લાગે છે.
મારા વ્હાલા… તને તો ખ્યાલ જ છે કે ભારતમાં એક સમયે દીકરીઓને દૂધ પીતી કરી દેવાતી…આજે મને સમજાય છે કે દીકરીને દૂધ પીતી કેમ કરતાં હતાં? દીકરી રહે તો એની ચિંતા રહે ને? દીકરી જ નહીં તો એક માને ચિંતા શેની રહે?
એમ કહેવાય છે કે આજે દીકરીઓ વધુ આઝાદ બની, કપડાં ટૂંકા પહેરે છે, મોડી રાત્રે ઓફિસે જાય છે કે પછી ઓફિસથી ઘરે આવે છે… એને કારણે એની સાથે આમ થાય છે? તો ભગવાન નાની બાળકીઓ પર બળાત્કાર થાય છે, એ તો ટૂંકા કપડાં પણ નથી પહેરતી અને મોડી રાત્રે ઘરની બહાર પણ નીકળતી નથી ને?
ખબર છે ભગવાન મારી દીકરી ઘરની બહાર નીકળે ત્યારે મારું મન આકુળ-વ્યાકુળ થઈ ઉઠે છે, મનમાં સતત ડર રહે છે, કોણ એની સામે ઘુરકિયા કરતું હશે? કોણ એની સામે ગંદી નજરથી જોતું હશે? કોણ એની પીઠ પાછળ એની ગંદી મજાક ઉડાવતું હશે? આને પણ માનસિક બળાત્કાર કહેવાય ને…? ક્યારેક ડર લાગે છે કે કોઈ એને ઉઠાવી તો નહીં જાય ને?
ક્યારેક દીકરી એમ કહે કે ઘરે આવતા મોડું થશે, તો મનમાં થાય છે કે એને કહી દઉં કે ના તું ક્યાંય ના જઈશ. બસ મારી સામે જ બેસી રહે..! એ જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી શંકા-કુશંકાથી મનમાં સતત ડર લાગે છે કે દીકરી સહી-સલામત પાછી ઘર આવશે કે પછી એની અર્ધબળેલી લાશ આવશે કે પછી પિંખાયેલી હાલતમાં??
બસ ભગવાન.. મને તો તું ખાલી આ દુનિયામાં એવી જગ્યા શોધી આપ જ્યાં મારી દીકરી સલામત રીતે રહે.. એનાથી વિશેષ ના મારે કંઈ માગવું નથી ને ના કંઈ જોઈતું નથી. ભગવાન… કાં તો સ્ત્રીને એ શક્તિ આપે કે એની સામે નજર બગડનારને એ પોતાની આંખોથી જ ભસ્મીભૂત કરી નાખે! કે પછી એવું ખડગ આપે કે એની સામે નજર ઉઠાવનારને જ વિંધી નાખે.
લિ…
એક દીકરીની માતા, જે સતત ડરમાં રહે છે…
? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #InfinitePossibilities ? into this cosmic journey of knowledge and let your thoughts soar! ✨ Don’t just read, experience the excitement! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?
Your post is a ray of light in the darkness. Thank you for brightening my day in a unique way. Keep shining! ☀️
Excellent effort