રાજકોટ શહેરના માધાપર ચોક પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પા ભુપતભાઈ જનકાત (ઉં.વ.26)નું રહસ્યમય મોત નીપજ્યું છે. માધાપર ચોક પાસે વરૂણ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી અને મૂળ ગીર સોમનાથની અલ્પા તેના જ ફ્લેટના બાથરૂમમાંથી બેભાન મળી આવી હતી. આથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ પરંતુ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળી આવ્યું છે. મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રખાયું છે અને વિસેરા લેવામાં આવ્યા છે. શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હોસ્પિટલ દ્વારા નર્સને રહેવા માટે ભાડે રખાયેલા ફ્લેટમાં બીજા માળે અલ્પાબેન બીજી બે રૂમ પાર્ટનર સાથે રહેતી હતી. અલ્પાબેન ગઇકાલે નોકરી પરથી આવ્યા બાદ ન્હાવા ગઇ હતી. લાંબો સમય સુધી તે બહાર ન આવતાં અને દરવાજો ખખડાવવા છતાં નહીં ખોલાતાં રૂમ પાર્ટનરે અન્ય માળ પર રહેતાં લેડી વોર્ડનને બોલાવી દરવાજો તોડાવીને જોતાં અલ્પાબેન બાથરૂમમાંથી બેભાન મળી આવતાં હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અંગે જાણ થતાં ગાંધીગ્રામના PSI એચ.વી. સોમૈયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અલ્પા મૂળ ગીર સોમનાથની વતની હતી. તેનો એક ભાઇ મવડી તરફ રહે છે અને નોકરી કરે છે. પોલીસના કહેવા મુજબ અલ્પાબેનના રૂમમાંથી એક ખાલી ઇન્જેકશન પણ મળ્યું હતું. જોકે શરીર પર ઇન્જેકશન લીધાના નિશાન મળ્યા નથી. અલ્પાબેનના બંને સાથળ પર ચાંભા પડી ગયા હોય તેવા નિશાન જોવા મળ્યા હોય આ નિશાન શાના હોઇ શકે? તે અંગે પણ પોલીસે તપાસ યથાવત રાખી છે.
હાલ પોલીસે મૃત્યુ પામનારના ભાઇ, રૂમ પાર્ટનર અને અન્ય નર્સોના નિવેદનો નોંધ્યા છે. જેમાં અલ્પાબેનને કોઇ તકલીફ હોવાનું સામે આવ્યું નથી. શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે. પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવાયા હોય મોતનું કારણ જાણવા વિસેરા રિપોર્ટની અમુક દિવસો રાહ જોવી પડશે.
nice content!nice history!! boba 😀
wow, amazing