કહેવાય છે કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવા ન માંગવા જોઈએ. આવી જ એક ચમત્કારિક ઘટના સૌરાષ્ટ્રમાં સામે આવી હતી. જ્યાં એક વૃદ્ધને સપનામાં હનુમાનજી આવ્યા હતા, એટલું જ નહીં બજરંગબલીએ બતાવેલી જગ્યાએ ખોદકામ કરતાં દાદાની મૂર્તિ મળી આવી હતી.
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર પાછળના ભાગમાં આવેલી જગ્યામાંથી ખોદકામ દરમિયાન હનુમાનજીની મૂર્તિ મળી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. હનુમાનજી સ્વયંભુ પ્રગ્ટ થયા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોકો કુતૂહલવશ દર્શન માટે પહોંચ્યા હતા.
કેશોદના રહેવાસી અશ્વિનભાઈ દવેએ પોતાને ત્રણ મહિનાથી હનુમાનજી સપનાંમાં આવતા હોવાનો દાવો કર્યો હતો.
અશ્વિનભાઈએ પોતાના મિત્ર અતુલભાઈ ગજેરાને સમગ્ર વાત કરી હતી. ત્યારબાદ નરસિંહ મહેતા સરોવર પાસે આવેલી જલારામ સોસાયટી પાસે જેસીબીની મદદથી ખોદકામ કર્યું હતું.
ખોદકામ કરતા ત્રણ ફૂટની મૂર્તિ મળ્યાનો દાવો: જેસીબીની મદદથી ખોદકામ કરતા ત્રણ ફૂટની હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. જેને પ્રગટેશ્વર હનુમાન નામ આપવામાં આવ્યું હતું.
સ્થાનિકોના કહેવા મુજબ; એક વડીલને હનુમાનજી સપને આવ્યા અને પ્રતિમા આ જગ્યાએ હોવાનું પ્રમાણ આપ્યું હતું!
આ વાત શહેરમાં વાયુવેગે ફેલાતા લોકો કુતૂહલવશ થઈ દર્શન માટે પહોંચ્યા હતા. શનિવાર અને અમાસના દિવસે હનુમાનજીની મૂર્તિ નીકળતા લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.