અમદાવાદમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. પોલીસ કર્મીએ પોતાની ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12માં માળેથી ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું. ગોતામાં આવેલા દિયા હાઇટ્સ સોસાયટીમાં રહેતો હસતો પરિવાર ગત મોડી રાત્રે વિખેરાઈ ગયો.પોલીસ કર્મીએ મમ્મી-પપ્પા અને નાની દીકરી આકાંક્ષા વિશે જે વાતો લખી છે એ વાંચીને ભલભલાને હચમચાવી દે એવી છે. લોકોના મનમાં એક જ સવાલ છે કે તેમણે આવું પગલું કેમ ભર્યું?
પહેલા પત્ની, પછી પિતા દીકરીને લઈને કૂદ્યા
આ બનાવમાં પહેલા રિદ્ધબેન કૂદ્યાં હતાં, તેની ગણતરીની ચાર મિનિટ બાદ કુલદીપસિંહ પોતાની દીકરી આકાંક્ષા સાથે કૂદ્યા અને અવાજ પણ ખૂબ જ ભયાનક હતો. દીકરી આકાંક્ષાના માંસના લોચેલોચા નીકળી ગયા હતા. લોકો કાગળથી તો કોઈ ગોદડીના ટુકડાથી આ લોકોને ભેગા કરી રહ્યા હતા. કાળને કોણ રોકી શકે. આ તમામનાં પ્રાણપંખેરું ઊડી ગયાં હતાં. આ ઘટનાથી પોલીસ સહિત કુલદીપસિંહના પરિવારમાં આઘાતની લાગણી છે.
પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો?
પોલીસકર્મી કુલદિપસિંહ યાદવ વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, પતિ અને પત્નીને અવારનવાર ઝઘડા થતા હતા. કુલદીપસિંહના બહેન અને બનેવીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. પરંતુ તે તકરાર કઇ બાબતે છે તે સામે નથી આવી. જોકે, પરિવારનું કહેવુ છે કે, પોલીસકર્મીના સસરા દ્વારા થોડા સમય અગાઉ પોલીસની નોકરી છોડી તેના વતન ખાતે સ્થાયી થવા જણાવવામાં આવ્યું હતું. અચાનક પરિવારે ભરેલા આ અંતિમ પગલાને કારણે તેમના સંબંધીઓ અને આસપાસ રહેતા લોકોમાં શોકનો માહોલ છવાયો છે.
કુલદીપસિંહ ખૂબ જ હસમુખા સ્વભાવના હતા
શહેરના ગોતા વિસ્તારમાં આવેલી દીવા હાઈટ્સ, જેમાં 12મા માળે રહેતા કુલદીપસિંહ તેમની પત્ની રિદ્ધિ અને દીકરી આકાંક્ષા સાથે રહેતા હતા. કુલદીપસિંહ ખૂબ જ હસમુખા સ્વભાવના હોવાનું આસપાસના લોકો કહે છે. કુલદીપસિંહ ગઈકાલે સાંજે 5:30 વાગે દીવા હાઇટ્સના કમ્પાઉન્ડમાં ઇવનિંગ વોક કરતા હતા ત્યારે તેમણે આસપાસ ઊભેલા સિક્યોરિટી ગાર્ડ સાથે પણ કેમ છો, મજામાંની વાત કરી હતી. એ સમયે શું થઈ રહ્યું છે, શું થવાનું છે, કોઈને ક્ષણભર પણ ખબર ન હતી.
રાત્રે પરિવાર કોઈને ત્યાં જમવા ગયો હતો
એક એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે કુલદીપસિંહ તેમના નજીકના કોઈ પોલીસકર્મીને ત્યાં પોતાની દીકરી અને પત્નીની સાથે રાતે જમવા ગયા હતા અને ત્યાં 11:30 વાગ્યે ત્યાંથી નીકળીને ઘરે પરત આવ્યા હતા. આ 11.38 વાગ્યે પોતાના વ્હોટ્સએપ સ્ટેટસમાં એક મેસેજ કર્યો હતો. ‘જીવી લઈએ જિંદગી, વીતે એને વખત કહેવાય.’ બસ, આ છેલ્લા સ્ટેટસ બાદ મોડી રાતે તેમણે તેમના નજીકના મિત્રોને એક મેસેજ કર્યો હતો. પછી તેમના જીવનમાં શું બન્યું એ કોઈને ખબર નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, એક વાગ્યા પછી એક એક ધડાકાભેર અવાજ આવ્યો અને લોકો દોડીને નીચે આવ્યા ત્યારે દિવ્યા હાઇટ્સના કેમ્પસમાં લોહીનાં ખાબોચિયાં પડ્યાં હતાં.
કુલદિપસિંહ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં
અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને આ બનાવની જાણ થતાં સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ છે. કુલદીપસિંહ અને તેમના પત્નીએ આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે.તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં.\
કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પોલીસકર્મી કુલદીપસિંહ ભાવનગરના સિહોરના વતની હતા અને તેમનાં પત્ની સિહોરની બાજુમાં આવેલા વડિયાનાં રહેવાસી હતાં.
તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે, કુલદીપસિંહના બનેવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેમને પણ અંદાજ નહોતો કે કુલદીપસિંહ અને તેમનાં પત્ની આવું પગલું ભરશે.