નવી દિલ્હી: શુક્રવારે સવારે ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને અચાનક તબિયત બગડતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, આરોગ્યમંત્રી હર્ષવર્ધન સહિતના ઘણાં નેતા તેમના અંતર ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતાં.
અરુણ જેટલી કિડની તથા અન્ય બીમારીથી પીડાય રહ્યાં છે. કિડની પ્રત્યારોપણ બાદ જેટલીના ડાબા પગે સોફ્ટ ટિશ્યુ કેન્સરની ગંભીર માંદગી લાગુ પડી હતી. તેની સારવાર માટે આ વર્ષના જાન્યુઆરીમાં તેમણે અમેરિકાની મુલાકાત લીધી હતી. માંદગી અને સારવારના કારણે જ તેમણે એનડીએ સરકારની બીજી ટર્મમાં પ્રધાનમંડળમાં ન જોડાવા અંગે પત્ર લખીને મોદીને વિનંતી કરી હતી.
જેટલીના કથળતા જતાં સ્વાસ્થ્ય અંગેના સમાચાર વહેતા થયા કે તરત આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન AIIMS પહોંચી ગયા હતા. ત્યાર બાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અરુણ જેટલીની ખબર પૂછવા માટે હોસ્પિટલ પૂછવા પહોંચ્યા હતાં.
જેટલી 2000થી 2018 સુધી ગુજરાતમાંથી ત્રણવાર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2018માં ઉત્તર પ્રદેશથી તેઓ રાજ્યસભામાં ગયા હતા. આ અગાઉની મોદી સરકારમાં તેઓ નાણામંત્રી હતા. 2019ની ચૂંટણી દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને પત્ર લખી પોતાની નાદુરસ્ત તબિયતને કારણે મંત્રી નહીં બનાવવા વિનંતી કરી હતી. 2014માં તેઓ અમૃતસર ખાતેથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. તેમના સમયગાળા દરમિયાન નોટબંધી અને જીએસટી જેવા બે મહત્ત્વના નિર્ણય લેવાયા હતા.