આરાધના શર્માએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિપ્તીનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલમાં કામ કર્યાં બાદ આરધાના ચાહકોમાં ઘણી જ લોકપ્રિય થઈ છે. સિરિયલમાં આરાધનાનો રોલ નાનો જ હતો, પરંતુ તે ચાહકોને યાદ રહી ગયો છે. એમટીવી ‘સ્પ્લિટ્સવિલા 12’ ફૅમ આરાધનાએ હાલમાં સિરિયલ અંગે ખુલ્લીને વાત કરી હતી.
ટાઇમ્સ ઓફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂ પ્રમાણે જેઠાલાલ સાથે કામ કરવાના અનુભવ અંગે આરાધનાએ કહ્યું હતું, ‘દિલીપસરની પ્રતિભા એકદમ અલગ જ છે. પહેલાં દિવસે હું તેમને શૂટિંગ દરમિયાન મળી હતી. લોકો તેમને જોઈને જ હસવા લાગે છે. તેમની એક્ટિંગમાં મેજિક છે. તેઓ પોતાના સીનમાં સતત ઇમ્પ્રૂવ કરતા હોય છે. આટલું જ નહીં કો-એક્ટર્સને પણ મદદ કરતા હોય છે. મારે એક સીન ભજવવાનો હતો. દિલીપસર સ્ક્રિપ્ટ રીડિંગમાં એકથી બે કલાકનો સમય લેતા હોય છે. અમારા રીડિંગ સેશન દરમિયાન હું ઘણી જ નર્વસ હતી અને મારા હાથપગ પણ ધ્રુજતા હતા. તેઓ મને મોટિવેટ કરતા અને સતત હસતા રહેવાનું કહેતા.
ટાઇમ્સ ઓફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂ પ્રમાણે આરાધનાએ કહ્યું હતું, દિલીપસરના કારણે મારી એક્ટિંગમાં ઘણો જ સુધારો આવ્યો છે. હવે હું જ્યારે પણ ઓડિશનમાં જાઉં અને મારાથી ભૂલ થાય તો તરત જ હું દિલીપ સરે કહેલી વાતો યાદ કરીને સુધારો કરી લઉં છું. તે પર્ફેક્શનિસ્ટ છે અને સમયના એકદમ ચોક્કસ છે. તે સેટ પર ટાઇમસર આવી જતા.’
સિરિયલમાં ડૉ.હાથીનો રોલ નિર્મલ સોની પ્લે કરે છે. નિર્મલ સોની અંગે આરાધનાએ કહ્યું હતું કે તે ઘણાં જ ફ્રેન્ડલી છે. તેમની સાથે તેનું ખાસ બોન્ડિંગ હતું. તેઓ મિત્રો બની ગયા હતા. તેઓ સાથે ઘણી જ મસ્તી ધમાલ કરતા. પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક) અંગે વાત કરતાં આરાધનાએ જણાવ્યું હતું કે ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન અલગ જ જોવા મળે છે. તે ઘણાં જ જેન્ટલમેન છે અને બધાને ઘણું જ માન આપે છે. અમિત ભટ્ટ (ચંપક ચાચા) ઘણાં જ લાઇવલી વ્યક્તિ છે. તે હંમેશાં ખુશ મિજાજમાં રહે છે.
ટાઇમ્સ ઓફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂ પ્રમાણે વધુમાં આરાધનાએ કહ્યું હતું, ‘આ શોમાં કામ કર્યા બાદ મારા અનેક ચાહકો છે. છથી સાત વર્ષની ઉંમરના બાળકોથી લઈ મોટેરા પણ મારા ચાહકો છે. તેઓ સતત મારો ફોન નંબર માતા હોય છે. બાળકો મને ‘દિપ્તી દીદી’ કહીને બોલાવે છે. આ શોને કારણે મને ઘણું જ મળ્યું છે. આ શો આખો દેશ જુએ છે. શોના શૂટિંગ દરમિયાન એક ક્રૂ મેમ્બરે મને કહ્યું પણ હતું, ‘આ શો જે પણ કરે છે, તે વ્યક્તિ જીવનમાં કંઈકને કંઈક તો કરે જ છે.’ આશા છે કે મારા જીવનમાં પણ કંઈક સારું થશે. ‘તારક..’ની આખી ટીમ ઘણી જ સારી છે. તેમણે મને ક્યારેય ન્યૂકમરની જેમ ટ્રીટ કરી નહોતી.
આરાધના શર્માએ કહ્યું હતું, ‘મને હજી પણ વિશ્વાસ થતો નથી. હું 2020માં ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. દોઢ વર્ષમાં મેં થોડીક બાબતો અચિવ કરી લીધી છે. ‘તારક મહેતા..’ને કારણે મારી કરિયરને વેગ મળ્યો છે. ચાહકોનો પ્રેમ મળ્યો છે. હું રસ્તા પર જાઉં તો ચાહકો બૂમો પાડીને કહે છે, ‘અરે દિપ્તી, કેશ હૈ તો એશ હૈ.’ જ્યારે તમને ચાહકો પાત્રના નામથી ઓળખે તો તે આશીર્વાદ સમાન છે.’
આરાધનાએ આગળ કહ્યું હતું, ‘હું મારી ઓડિશન ટેપ કાસ્ટિંગ ડિરેક્ટર્સને આપતી રહેતી હોઉં છું. મેં આવી જ રીતે વિકાસ (કાસ્ટિંગ ડિરેક્ટર)ને મારી ઓડિશન ટેપ આપી હતી. તેમણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે તે મને સારો રોલ આપશે. તેમને મારી એક્ટિંગ ગમી હતી. પાંચ મહિના પહેલાં લૉકડાઉનમાં તેમણે મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ‘તારક..’માં કાસ્ટિંગ થઈ રહ્યું છે. તેમણે મને કહ્યું હતું કે આ રોલને હા પાડીશ તો તે તારા જીવનનો બેસ્ટ નિર્ણય હશે.’
આરાધનાએ ‘અલાદ્દીન નામ તો સુના હોગા’માં કામ કર્યું છે. ‘હીરો ગાયબ મોડ ઓન’માં કેમિયો કર્યો હતો. તેણે માત્ર 11 વર્ષની ઉંમરમાં કિડ્સ શો ‘બૂગી વૂગી’માં ભાગ લીધો હતો. કોલેજ બાદ તે એક્ટિંગ ફિલ્ડમાં આગળ જવા માગતી હતી અને તેથી જ તે મુંબઈ આવી હતી અને કામની શોધમાં હતી. તેણે પૂનાની સિમ્બાયસિસ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટની ડિગ્રી લીધી છે. તેણે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ 6’માં ભાગ લીધો હતો. આ શોમાં તે સિઝનના ટોપ 36 ડાન્સર્સમાં સામેલ થઈ હતી.