મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનો રોલ કરતા ઘનશ્યામ નાયકનું હાલમાં જ નિધન થયું હતું. તેઓ કેન્સર પીડિત હતા અને અંતિમ શ્વાસ સુધી કામ કરવાની ઈચ્છા રાખતા હતા. તેમણે મૃત્યુ અગાઉ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના અંતિમ સંસ્કાર મેકઅપ સાથે કરવામા આવે. જોકે નટુ કાકા આવા એકમાત્ર કલાકાર નથી જેમના અંતિમ સંસ્કાર પહેલા મેકઅપ કરવામા આવ્યું હોય. આ અગાઉ પણ ઘણા કલાકાર એવા રહ્યાં છે જેમનું અંતિમ સંસ્કાર સમયે મેકઅપ કરવામા આવ્યું હોય. મેકઅપ આ કલાકારોની અંતિમ ઈચ્છાને કારણે જ કરવામા આવ્યું હતું. હંમેશા કેમેરા સામે મેકઅપમાં રહેતા આ કલાકારોની ઈચ્છા રહી હતી કે, જ્યારે પણ તેઓ મૃત્યુ પામે ત્યારે તેમને મેકઅપ સાથે વિદાય આપવામા આવે.
શ્રીદેવી
બોલિવૂડ પર પોતાની અદાઓથી રાજ કરનાર શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી 2018ના રોજ નિધન થયું હતું. બોલિવૂડની સુપર સ્ટાર એક્ટ્રેસને અંતિમ સંસ્કાર સમયે દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. તેમનો સંપૂર્ણ મેકઅપ રાની મુખર્જીના મેકઅપ મેન રાજેશ પાટિલે કર્યો હતો. કારણ કે, રાજેશ પાટિલનું કામ શ્રીદેવીને ઘણું ગમતું હતું. શ્રીદેવીને તેમને ગમતા ઘરેણાં સાથે શણગારવામા આવ્યા હતા. માથા પર લાલ સિંદુર અને બિંદી સાથે શ્રીદેવીની અંતિમ યાત્રા નીકાળવામા આવી હતી.
દિવ્યા ભારતી
દિવ્યા ભારતી બોલિવૂડની એ એક્ટ્રેસિસમાંથી એક રહી છે, જેમણે નાની વયે ઘણી નામના મેળવી હોય. 25 ફેબ્રુઆરી 1974 ના મુંબઈમાં જન્મેલી દિવ્યા જીવંત હોત તો આજે 47 વર્ષની હોત. દિવ્યા અને સાજીદ નડિયાદવાલાના લગ્નના એહવાલ સામે નહોતા આવ્યા. બંને આ મામલે સારા સમાચાર જાહેર કરવાના હતા. જોકે તે અગાઉ એક દુર્ઘટનામાં દિવ્યા ભારતીનું નિધન થયું હતું. તેની અંતિમ યાત્રા પણ ધૂમધામથી નીકાળવામા આવી હતી. દિવ્યાને પણ દુલ્હનની જેમ શણગારવામા આવી હતી. તેને સોનાના ઘરેણા અને લાલ ચુંદડી સાથે સજાવી વિદાય આપવામા આવી હતી.
સ્મિતા પાટિલ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસિસમાંથી એક રહેલી સ્મિતા પાટિલની અંતિમ ઈચ્છા હતી કે, નિધન થાય તો તેને દુલ્હનની જેમ શણગારવામા આવે. સ્મિતા પાટિલના મેકઅપ મેન દીપક સાવંતે જણાવ્યું કે, ‘સ્મિતા પાટિલ હંમેશા પોતાની માતાને કહેતા હતા કે, મા હું મરું તો મને સુહાગનની જેમ અંતિમ વિદાય આપજો અને આમ જ થયું.’
નટુકાકા
નટુકાકા પણ કલાકાર તરીકે ઘણા વર્ષોથી કામ કરતા હતા. આ જ કારણે તેમની પણ અંતિમ ઈચ્છા હતી કે, તેઓના નિધન બાદ તેમને મેકઅપ સાથે અંતિમ વિદાય આપવામા આવે.