ઉત્તર ગુજરાતમાં મોબાઈલ ફાટવાથી યુવતીના મોતના સમાચાર તાજા જ છે ત્યારે વધુ એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. રાધનપુરમાં એક દુકાનમાં બેસેલા ગ્રાહકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી ધૂમાડા નીકળવા લાગતા ગ્રાહકે સૂચકતા વાપરીને મોબાઈલને ખિસ્સામાંથી બહાર ફેંકી દીધો હતો. મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા એકસમયે હાજર લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
રાધનપુરમાં માનસી મોટર ગેરેજ નામની દુકાન આવેલી છે. સવારે 9થી 10 વાગ્યાની આસપાસ ભાડીયા ગામના રહેવાસી રામચંદભાઈ ઠાકોર દુકાને આવ્યા હતા. રામચંદભાઈ દુકાનના માલિક પપ્પુભાઈ ઠક્કર સાથે વાત કરી રહ્યાં હતા. એ જ સમયે રામચંદભાઈને ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા જોવા મળ્યા હતા.
રામચંદભાઈએ તુરંત જ કોઇ જાનહાનિ ન થાય એ માટે મોબાઈલને ખિસ્સામાંથી નીચે ફેંકી દીધો હતો અને કોઇ નુકસાન ન થાય એ માટે મોબાઈલને દુકાનની બહાર કરી દીધો હતો. મોબાઈલ ફાટવાની સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. મોબાઈલ ફાટવાની ઘટનાના સીસીટીવી રાધનપુર પંથકમાં વાઈરલ થયા હતા. જેના પગલે ઘટના ક્યાં અને કેવી રીતે બની તેને લઇને ચર્ચાઓ જાગી હતી.
જે દુકાનમાં મોબાઈલ બ્લાસ્ટ થયો તે દુકાનના માલિક પપ્પુભાઈ ઠક્કર સાથે દિવ્યભાસ્કરે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે દુકાનમાં 10 વાગ્યે હાજર હતા. તે સમયે હજુ ટેબલ પર પુજાનો સામાન મુકીને સાફ કરતા હતા. તેવામાં દુકાનમાં બોર્ડનું કામ કરવા કારીગર રામચંદભાઈ ઠાકોર ભાડિયાથી આવ્યા હતા. તેમના ખિસ્સામાં પડેલા મોબાઈલમાં અચાનક આગ લાગી હતી. કોઇ જાનહાનિ ન થાય એ માટે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બહાર ફેંકી દીધો હતો. મોબાઈલ બહાર ફેંકી દેતા બહાર પણ બ્લાસ્ટ થયો હતો. કોઇને નુકસાન થયું ન હતું અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.