મેં આજે શાહરુખ ખાન અને અજય દેવગનને 5 રૂપિયાનો મની ઓર્ડર કર્યો છે, કારણકે હું તેમના હાથથી પાન મસાલાનું એક પેકેટ લેવા ઈચ્છું છું. તમે મારાં પ્રિય અભિનેતા છો અને જો તમે આ પ્રકારની જાહેરાતોને સમર્થન આપતાં હોય તો પછી મારે પણ તમારું અનુકરણ કરીને પાન-મસાલા ખાવાનું ચાલુ કરવું જોઈએ ને?
ધડકન જૈન કહે છે કે, હું એક જ નહિ પણ દેશના મોટાભાગના યુવાનો તમને ફોલો કરી રહ્યા છે અને તમે તમારી જાહેરાત દ્વારા તેમના પર એક ખરાબ પ્રભાવ છોડી રહ્યા છો. ખરગોનની 19 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ ધડકન જૈને તેમના પ્રિય અભિનેતા શાહરૂખ ખાન અને અજય દેવગનને 5 રૂપિયાનો મની ઓર્ડર કરતાં આ વાત કરી. તેણે ફરી એકવાર બ્રધર્સ ડે પર આ બંને કલાકારોને પાન મસાલાની જાહેરાત છોડવાની અપીલ કરી છે.
ધડકને પોતાના મેસેજમાં લખ્યું…
નમસ્કાર, હું મધ્ય પ્રદેશના ખરગોનથી ધડકન જૈન છું. સર, હું મારા માતા-પિતાનું એક નું એક સંતાન છું, કોઈ ભાઈ-બહેન નથી. સર, પાન મસાલાની જાહેરાત કરવાના તમારા નિર્ણયથી હું ખૂબ જ નિરાશ છું. પાન મસાલાની જાહેરાત પડતી મૂકવા અંગે મેં તમને અગાઉ પણ ઘણી વખત ટ્વીટ કર્યું છે, પરંતુ અફસોસ કોઈ જવાબ મળ્યો નથી. 24મી મેના રોજ ભાઈ-બહેનનો દિવસ હોવાથી અને મારે કોઈ ભાઈ-બહેન નથી, તમને તમારા મોટા ભાઈ તરીકે ગણીને હું તમને વિનંતી કરું છું કે, તમે પાન-મસાલાની જાહેરાત કરવાનું બંધ કરો, કારણ કે તમે ભારતના પ્રતીક છો અને આજના યુવાનો તેને અનુસરી રહ્યા છે. તેની ખરાબ અસર યુવાનો પર પડે છે, કારણકે આપણે સૌ જાણીએ છીએ કે પાન મસાલાથી યુવા લોકોને અને તેમના પરિવારને કેટલું નુકસાન થઇ શકે છે?
યુવાનો પર ખોટો પ્રભાવ પડે છે
તે બંને મોટા સ્ટાર છે. યુવાન હોય કે મોટા બધા જ લોકો તેમને અનુસરે છે. આટલી મોટી સેલિબ્રિટી પાન-મસાલા જેવી જાહેરાતો કરશે તો યુવા પેઢી તેને ફોલો કરશે જ. હું મારા બેચમેટ્સ અને મિત્રોને ખોટા વ્યસન તરફ આગળ વધતાં જોઈ રહી છું. આ 5 રૂપિયાનો મની ઓર્ડર બનાવવાનો મારો હેતુ માત્ર તેમને એ જણાવવાનો છે કે, તેમની એક જાહેરાતથી કેટલાં લોકો પ્રભાવિત થશે?
બીએ ફર્સ્ટ યરની વિદ્યાર્થી છે ધડકન
ધડકને કહ્યું કે, તેમણે પહેલું ટ્વિટ 28 માર્ચ, 2021ના રોજ કર્યું હતું. ત્યારથી બર્થ-ડે અને ફેસ્ટિવલના સમયે આ બંને કલાકારોને ટ્વીટ કરીને આવી જાહેરખબરો ન કરવી એવી અપીલ કરતી રહી છે એટલું જ નહીં તેમણે ટ્વીટ કરીને બંને કલાકારોની પત્નીઓને પણ અપીલ કરી હતી. ધડકનના પિતા આશીર્વાદ જૈન અને માતા નીતા જૈને જણાવ્યું હતું કે, દીકરી ભણે છે તેમજ સામાજિક કાર્યો પણ કરે છે, તે સારી વાત છે. અમે બંને અમારી દીકરી સાથે છીએ. ધડકન બીએ ફર્સ્ટ યરની વિદ્યાર્થી છે. તેમણે વર્ષમાં ચાર વખત રક્તદાન કરવાનો સંકલ્પ પણ લીધો છે. તેમણે પોતાના 18માં જન્મદિવસે પહેલીવાર રક્તદાન કર્યું હતું, જે અત્યાર સુધી ચાલુ છે. આ સાથે જ તેમણે દેહદાનનો સંકલ્પ પણ લીધો છે.