ધૂંધકામાં માલધારી સમાજના યુવક કિશન ભરવાડની હત્યાનો રોષ હજી પણ શમ્યો નથી. લોકો હત્યારાઓને ફાંસીને માંગણી કરી રહ્યા છે. જુવાનજોધ દીકરાના મોતથી કિશન ભરવાડનો પરિવાર હજી પણ આઘાતમાં છે. બીજી તરફ લગ્નના દોઢ વર્ષમાં જ જમાઈ ગુમાવતા કિશન ભરવાડના સસરાનો પરિવાર પણ ગમગીન બની ગયો છે. વડોદરામાં રહેતા કિશન ભરવાડના સસરા જેસંગભાઇ મોતીભાઇ ભરવાડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નરાધમોએ મારા જમાઇને વિશ્વાસમાં લીધા બાદ દગો કરીને ગોળી મારી દીધી છે. આરોપીઓનું જાહેરમાં એન્કાઉન્ટર કરો અથવા ફાંસી આપો.
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ તેમની સાસરી વડોદરામાં આજે બેસણું યોજવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડિયારનગર ચાર રસ્તા પાસે સયાજી ટાઉનશીપ નજીક રહેતા કિશન ભરવાડના સસરા જેસંગભાઇ મોતીભાઇ ભરવાડે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, ગત 25 જાન્યુઆરીના રોજ ધંધુકામાં બે આરોપીઓએ દગાથી આગળ જતી બાઇક પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી તે કિશનભાઇ મારા જમાઇ થાય છે. આ ઘટનાને માલધારી સમાજ વખોડી કાઢે છે. અમારી માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.
જમાઈને વડોદરા આવી જવા કહ્યું હતું: સસરા જેસંગભાઇ ભરવાડ
જેસંગભાઇ ભરવાડે જણાવ્યું હતું કે હત્યા થયાના આઠ દિવસ પહેલા જમાઇ કિશનભાઇ સાથે મારે ફોન પર વાત થઇ હતી. મેં તેમને કહ્યું હતું કે, તમે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મુકી તેના વિરૂદ્ધ તમારી સામે આવેદનપત્ર આપી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને માફી પણ મંગાવવામાં આવી તેમજ ધરપકડ બાદ જામીન મળ્યા છે. તેથી હવે તમે ત્યાં ન રહેશો, મામલો થાળે પડી જાય ત્યા સુધી તમે વડોદરા આવી જાવ.
જેસંગભાઇ ભરવાડે આગળ કહ્યું, મેં વેવાઇ શિવાભાઇને પણ કહ્યું હતું કે જમાઇને વડોદરા મોકલી દો. પરંતુ, નરાધમોએ જમાઇ કિશનને એવી રીતે વિશ્વાસમાં લઇ લીધા હતા કે, હવે સમાધાન થઇ ગયું છે. પરંતુ વિશ્વાસમાં લીધા બાદ એ લોકોએ દગો, કર્યો અને પાછળથી હુમલો કરી ગોળીમારી હત્યા કરી. અમારી વેદના છે કે, તમને અમારો ઠાકર ક્યારે માફ નહીં કરે.
પાકિસ્તાન સુધી છેડા જોડાયેલા છે: સાળા પ્રકાશભાઇ
મૃતક કિશનના સાળા પ્રકાશભાઇએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, કિશન બોળિયા (ભરવાડ) મારા જીજાજી હતા. દોઢ વર્ષ પહેલા જ મારી બહેનના તેમની સાથે લગ્ન થયા હતાં. 2 જાન્યુઆરીએ તેમના ત્યાં ભાણીનો જન્મ થયો હતો. વિધર્મીઓ દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેમાં પાકિસ્તાન સુધી છેડા જોડાયા છે. ઘણાં મૌલવીઓના નામ આ મામલે ખુલ્યા છે, તેઓ પોતાને ગુરુ માને પણ આતંકીઓ જેવા કૃત્યો કરે છે. અમારી સરકાર સમક્ષ એક જ માંગણી છે કે, આરોપીઓનું એન્કાઉન્ટર કરો અથવા તેમને ફાંસીની સજા આપો.
સસરાના ઘર બહાર પોલીસ બંદોબસ્ત
બેસણાના પગલે કિશનના સસરાના વડોદરા સ્થિત ઘર બહાર આજે સવારથી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કિશનની હત્યાને પગલે સાસરી વડોદરામાં તેના પરિવારજનો અને સમાજના લોકોમાં ઘેરા શોકની લાગણી છે. તેના સસરાના ઘરની બહાર કિશનને શ્રદ્ધાંજલિ આપતું એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે.