યુવાનીમાં હજી તો સરખા ડગ પણ નહોતા માંડ્યાને પ્રેમીયુગલે એક સાથે જીવન સંકેલી લીધું હતું. મહીસાગર નદી કિનારેથી હાથ અને કમરે ઓઢણીથી બાંધેલી હાલતમાં યુવક-યુવતીના મૃતદેહો મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે નદીમાંથી મૃતદેહો મળ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતા લોક ટોળા ઉમટી પડ્યા હતા. બચાવ ટીમે નદીમાં શોધખોળ કરતાં 24 કલાક બાદ પ્રમેપંખીડાઓના ઓઢણીથી બાંધેલા મૃતદેહો મળી આવ્યા હતા.
કડાણા તાલુકાના ઘોડિયાર પુલ ઉપરથી સોમવારે રાત્રે બિનવારસી હાલતમાં બાઇક અને ચંપલ મળી આવ્યા હતા. જેથી પોલીસને કોઈએ નદીમાં ઝંપલાવ્યું હોવાની શંકા જતા કડાણા પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.ડીંડોર દ્વારા મંગળવારે વહેલી સવારથી સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી. પરતું ભાળ ન મળતા SDRF ગોધરાની ટીમને મદદ લેવાઇ હતી. જેમા મંગળવારે મોડી રાત સુધી કોઈ સફળતા મળી ન હતી.
જ્યારે બુધવારે વહેલી સવારે SDRF દ્વારા પુનઃ શોધખોળ આરંભાતા યુવક અને યુવતીની ઓઢણી બાંધેલી હાલતમાં મૃતદેહો મળતા SDRF ગોધરા ટીમને સફળતા મળી હતી સાથે પોલીસ દ્વારા લગાવેલ અનુમાન હકીકતમાં ફેરવાઇ ગઇ હતી. જ્યારે બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા બાદ બાઇક નંબર ઉપરથી યુવક અને યુવતીના પરિવારને જાણ કરી મૃતદેહોની ઓળખ માટે કડાણા ખાતે બોલાવતા લુણાવાડા તાલુકાના ગાભલાવાડાના હોવાનું જાણવા મળ્યું હતું. જેમા યુવકનું નામ સુનીલકુમાર ઉદાભાઈ ખાંટ ઉ.21 અને યુવતીનું નામ જલપાબેન વિનુભાઈ બારીયા. ઉ.19 હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે નદીમાંથી મળેલ યુવક-યુવતીના મૃતદેહોના હાથ અને કમર ઓઢણીથી એકબીજા સાથે બાંધેલા હોવાથી પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરી હતી.
મૃતદેહોને કડાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પી.એમ. બાદ યુવક અને યુવતીના મૃતદેહો તેમના પરિવારને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.