રાજકોટ: રાજકોટ જામનગર હાઇવે પર ધ્રોલ પાસે વરરાજાની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં કાર ચાલકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સમગ્ર ઘટનામાં ચાર બાળકો તેમજ ચાર પુખ્ત વયના લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજા પામનાર તમામ લોકોને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ધ્રુજાવી દે તેવા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે એસ.ટી. બસ સાથે ટક્કર બાદ વરરાજાની કારના બોનેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પીડિત લોકોના જણાવ્યા પ્રમાણે એસ.ટી. બસના ચાલકની બેદરકારીને પગલે અકસ્માત થયો છે.
રાજકોટ ખાતેથી ખીજડીયા ગામે જતી વરરાજાની કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. વરરાજાની કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના ધ્રોલ પાસે આવેલા સાંઈ મંદિર નજીક બની હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સૌપ્રથમ ઇજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે તમામ લોકોને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલાની જાણ 108 ને થતા 108 ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર મળી રહે તે હેતુથી હોસ્પિટલ ખાતે પહોંચતા કર્યાં હતા. મરણ જનાર કારચાલકનું નામ રાજુભાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ સમગ્ર મામલે જામનગર ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ મરણ જનારની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહેલા ઈજા પામનારા લોકોના પરિવારજનોનું કહેવું છે કે, એસટી બસ ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે. જામનગર પોલીસ દ્વારા આ કેસમાં એસટી બસ ચાલક વિરુદ્ધ કઈ કલમ હેઠળ ગુનો નોંધી અટકાયતી પગલાં લેવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. આવી રીતે જાન લગ્ન મંડપ સુધી પહોંચે તે પૂર્વે જ અકસ્માત નડ્યો છે.