ઈન્દોરઃ આજના સમયમાં લોકો સાંસારિક મોહમાયામાં ફસાયેલા છે. દરેક લોકો સુખ-સુવિધામાં એ રીતે વ્યસ્ત છે કે તેઓ તેના વગરના જીવનની કલ્પના પણ કરી શકે તેમ નથી. જોકે, એવા પણ કેટલાંક લોકો છે, જે આ તમામ મોહમાયા તથા સુખનો ત્યાગ કરીને ઈશ્વરની શરણમાં જવા માગે છે. આવું જ કંઈક 2019માં જાન્યુઆરી મહિનામાં બન્યું હતું. જ્યાં એક યુવતીએ સુખી જીવનને બદલે સંન્યાસનો માર્ગ પસંદ કર્યો હતો.
આ યુવતીએ અભ્યાસ કર્યો, નોકરી અંગે વિચાર્યું પરંતુ પછી અચાનક જ બધું છોડીને તે ભગવાનની શરણમાં જવા માગતી હતી. તેણે અધ્યાત્મ ગ્રહણ કરી લીધું હતું.
આ વાત ઈન્દોરની છે. અહીંયા બાસ્કેટબોલ કોમ્પ્લેક્સમાં મુમુક્ષુ સિમન જૈનનો દીક્ષા મહોત્સવ 2019માં યોજાયો હતો. આ સમયે સિમરન માત્ર 23 વર્ષની હતી. આ ઉંમરમાં તેણે સુખી જીવન ત્યાગીને સાધ્વી જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો.
સિમરનનો દીક્ષાંત સમારંભ શ્રીવર્ધમાન શ્વેતાંબર સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ટ્રસ્ટના તત્વાવધાનમાં થયો હતો. દીક્ષા લેતાં પહેલાં સિમરને આખો દિવસ પરિવાર સાથે પસાર કર્યો હતો. હાથમાં મહેંદી, છેલ્લીવાર સોળ શણગાર સજ્યા હતા અને પછી પોતાનું ફેવરિટ ફૂડ ખાધું હતું.
દીક્ષા લેતા પહેલાં સિમરને તમામ સાંસારિક વસ્તુઓ છોડી દીધી હતી. સૌ પહેલાં તેણે પોતાના તમામ ઘરેણાં માતાને આપ્યા હતા. પછી પોતાના વાળનો ત્યાગ કર્યો હતો. દીક્ષા લેતા પહેલાં સિમરને કહ્યું હતું કે તે સાંસારિક ફોઈ ડૉ. મુક્તાક્ષીના માર્ગે જ આત્મિક શાંતિ તથા પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. આથી તે વૈરાગ્ય ધારણ કરે છે.
સાધ્વી બન્યા બાદ તેણે કહ્યું હતું કે તે દેશની અનેક સુંદર જગ્યાઓએ ફરી છે અને ત્યાં સમય પસાર કર્યો છે. જોકે, તેને ક્યાંય શાંતિ મળી નહોતી. જ્યારે તે ગુરુજનોના સાનિધ્યમાં આવી ત્યારે તેને શાંતિ મળી હતી. તેને ચમકદમકની દુનિયા ગમી નહીં.
અહીંયા લોકો જરૂર કરતાં વધુ વસ્તુઓનો ઉપયોગ કરે છે. સંતો ઓછામાં ઓછી વસ્તુઓથી જીવન જીવે છે. વધુ મેળવવાને બદલે આત્મા પરમાત્મા સાથે જોડાય તે જ સાચું સુખ છે.
સિમરને કમ્પ્યુટર સાયન્સમાં BCA કર્યો છે. પરિવારમાં તેને એક બહેન તથા બે ભાઈઓ છે.