અમદાવાદના વેજલપુરમાં આવેલા શ્રીનંદનગરમાં એક મહિલાની કોહવાયેલી લાશ મળી હતી. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી હતી, પણ પોલીસને હવે એવી માહિતી હાથમાં લાગી છે કે, આ મહિલાને બીજા કોઈ નહીં પણ તેના પતિએ જ મારી નાખવા માટે સોપારી આપી હતી અને તેની હત્યા કરાયા બાદ તેની લાશ ઘરમાં મૂકી દીધી હતી. તેમાં પણ સેન્ટ્રલ આઈબીના પીઆઈએ હત્યા કરાવી હોવાનું એક સીસીટીવી ફૂટેજના કારણે બહાર આવ્યું છે.
કોર્ટ કેસ પત્ની જીતી ગઈ એટલે હત્યાનો પ્લાન ઘડ્યો
વેજલપુરમાં થયેલી હત્યાનું કારણ ગૃહકંકાસ હતો. પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસના કારણે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જે કોર્ટમાં મહિલાને કેસ જીતી જતાં પતિએ પત્નીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. પછી પણ સામાન્ય વ્યક્તિ નહીં પણ મધ્યપ્રદેશમાં રહેતો અને સેન્ટ્રલ આઇડીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો વ્યક્તિ હતો. એટલે પોલીસને આ મર્ડર મિસ્ટ્રી શોધવામાં આકાશ પાતાળ એક કરવું પડ્યું હતું. હજી પોલીસ દ્વારા આરોપી પતિ અને અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવાની બાકી છે, પરંતુ આ હત્યા કેસમાં મદદ કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પીએમ રિપોર્ટમાં મહિલાની હત્યા ખુલ્લી
તાજેતરમાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી શ્રીનંદનગર વિભાગ-2 એફ બ્લોકના એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરતાં ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું ફલિત થયું હતું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લાગી હતી. આ મહિલાની હત્યા કરનારા શખસોને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.
સીસીટીવી ફૂટેજમાં પલ્સર પર બે શકમંદ દેખાયા
પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતાં બે શકમંદો નજરે પડ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતાં પોલીસે વાહનના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી હતી. પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદયુ હતું. તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, ભાડેથી વાહન આપતા ઇન્કમટેક્સના એક વેપારી પાસેથી આ વાહન ભાડેથી લેવામાં આવ્યું હતું. જેમાં ખલીલુદ્દીન સૈયદે વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેને તપાસ કરતા હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
15 હજાર રૂપિયામાં કાસળ કઢાવ્યું
ઝોન 7 એલસીબી ટીમે મનિષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે અને ખલીલુદ્દીનને પોતાના કામ કઢાવવા માટે 15000 રૂપિયા પણ આપ્યા હોવાનું આરોપી ખલીલુદ્દીનની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું. સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી કે, મૃતક મનિષાબેનના પતિએ હત્યા અંગે કાવતરું ઘડ્યું હતું અને ખલીલુદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાબેનના પતિએ જ આ કામ તેમને સોંપ્યું હતું. મહત્વનું છે કે, મૃતક મનિષાબેનના પતિ ઈન્ટેલિજન્ટ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પારિવારિક તકરારના કારણે મનિષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો. મનિષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે અને ખરીદીને પોતાના કામ કઢાવવા માટે 15000 રૂપિયા પણ આપ્યા હોવાનું આરોપી ખલીલુદ્દીનની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું.
ખલીલુદ્દીને સાગરિતો સાથે રેકી કરી હત્યાને અંજામ આપ્યો
આ હત્યા કરવા પાછળ કારણ શું હોય તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલુદ્દીને કબૂલ્યું હતું કે, આઇબી ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા ખલીલુદીનને પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે ખલીલુદ્દીનને પોતાને બે સાગરિતો સાથે દસ દિવસથી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં મનીષાબેનની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.
સોપારી આપનાર પતિ અને હત્યામાં સંડોવાયેલા બેની ધરપકડ બાકી
હાલ તો હત્યા અને ગુનાહિત ષડયંત્રના કેસમાં ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાંથી એક જ આરોપી તેલંગાણાથી પકડાયો છે. જ્યારે આઈબી પતિ ઓફિસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા અને હત્યામાં સંડોવાયેલા સતીશ અને જાવેદ નામના બંને શખસોની પોલીસ ધરપકડ કરી વધુ ખુલાસા હત્યા કેસમાં કરશે.