કોલકાતાના સૌથી વ્યસ્ત ગણાતાં વિસ્તારમાં હરીશ મુખર્જી રોડ પર એક ફ્લેટમાં સોમવારે એક દંપતીની હત્યાના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વેપારી મૂળ ગુજરાતનો હતો. તે કોલકાતામાં રહેતો હતો. આ દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે, ગુજરાતી બિઝનેસમેન અશોક શાહ અને તેમની પત્ની રોસમિતા શાહની કોઇએ ગોળી મારીને હત્યા કરી હતી. આ દંપતી તેમની પુત્રી સાથે એક એપાર્ટમેન્ટમાં રહેતું હતું. સાંજે જ્યારે તેની દીકરી ઘરે પાછી ફરી ત્યારે તેણે જોયું તો તેના માતા-પિતા લોહીથી લથપથ હાલતમાં પડ્યા હતા. તેમણે તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી હતી.
આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ કમિશનર અને STFના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. હત્યાના આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કંઈક જાણી શકાશે. લૂંટ બાદ આરોપીઓએ જ હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે.
CP બિનીથ ગોયલે જણાવ્યું હતું કે, મૃતદેહો પર છરીના કેટલાક નિશાન મળી આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, ઘરમાંથી કેટલીક કિંમતી વસ્તુઓ ગાયબ છે. ઘરનું કબાટ ખુલ્લું હતું. આ ઘટના બાદ પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. હરીશ મુખર્જી રોડ એ જ માર્ગ છે જ્યાંથી CM મમતા બેનર્જી દરરોજ સચિવાલય જાય છે. ઘટનાસ્થળની નજીક જ મુખ્યમંત્રી આવાસ અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીનું ઘર છે.