ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈમાં મંગળવારે વર્લીના સ્મશાન ઘાટ પર પારસી રીત-રિવાજ સાથે અંતિમસંસ્કાર કરાયા. સાયરસના મૃતદેહને પારસીઓના પારંપરિક કબ્રસ્તાન ‘દખમા’ કે ‘ટાવર ઓફ સાયલન્સ’માં ન લઈ જવાયો. એટલે કે તેમના પાર્થિવદેહને ગીધ જેવા માંસાહારી પક્ષીઓ માટે છોડ્યો નહોતો.
પારસીઓના અંતિમસંસ્કારની પારંપરિક રીત શું છે?
પારસીઓના અંતિમસંસ્કારની પરંપરા હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓથી ઘણી જ અલગ છે. પારંપરિક રીતે પારસી ન તો હિન્દુઓની જેમ પોતાના સ્વજનના શરીરન અગ્નિદાહ આપે છે, ન તો મુસ્લિમ અને ખ્રિસ્તીઓની જેમ દફનાવે છે.
પારસીઓના અંતિમ સંસ્કારની પરંપરા 3 હજાર વર્ષ જૂની છે. પારસીઓના કબ્રસ્તાનને દખમા કે ટાવર ઓફ સાયલન્સ કહેવાય છે. ટાવર ઓફ સાયલન્સ ગોળાકાર જર્જરીત ઈમારત હોય છે. કોઈ પણ વ્યક્તિના મોત પછી તેમને શુદ્ધ કરવાની પ્રક્રિયા પછી મૃતદેહને ટાવર ઓફ સાયલન્સમાં ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવે છે. પારસીઓની અંત્યેષ્ટિ આ પ્રક્રિયાને દોખમેનાશિની (Dokhmenashini) કહેવામાં આવે છે. જેમાં મૃતદેહને આકાશમાં દફનાવવામાં આવે છે (Sky Burials), એટલે કે મૃતદેહના નિકાલ માટે તેને ટાવર ઓફ સાયલન્સમાં ખુલ્લામાં સૂરજ અને માંસાહારી પક્ષીઓ માટે છોડી દેવામાં આવે છે.
અંતિમસંસ્કારની પ્રક્રિયામાં ફેરફારનું કારણ શું છે?
સામાન્ય રીતે પારસી સમુદાયના લોકો અંતિમ સંસ્કાર માટે ટાવર ઓફ સાયલન્સમાં મૃતદેહને ખુલ્લામાં છોડવામાં આવે છે. ગીધ જેવા માંસાહારી પક્ષી તે શબનું માંસ ખાય છે, પરંતુ ગીધની વસતિને ઝડપથી ઘટવા લાગતા પારસી સમુદાયના અંતિમ સંસ્કાર એટલે કે દખમા કરવાનું આસાન નથી રહ્યું.
એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, ગીધની પ્રજાતિઓની વસતી છેલ્લાં કેટલાંક વર્ષોમાં લગભગ 99% સુધી ઘટી ગઈ છે. ગીધની વસતી ઘટવાથી મુંબઈમાં રહેતા અનેક પારસી પોતાના પ્રિયજનોના મોત પછી તેમના મૃતદેહને સન્માનપૂર્વક નિકાલને લઈને ચિંતિત હતા.
હવે પારસીઓની પાસે અંતિમસંસ્કાર માટે કયા વિકલ્પ છે?
મુંબઈમાં પારસીઓની પાસે હવે અંતિમ સંસ્કારના 3 વિકલ્પ છે. પહેલો- પારંપરિક રીતે દખમા એટલે કે ટાવર ઓફ સાયલન્સથી અંતિમ સંસ્કાર કરવા. બીજો- મૃતદેહને દફનાવવા. ત્રીજો- મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવા. સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર ત્રીજા વિકલ્પ તરીકે વર્લી સ્થિત શ્મશાનઘરમાં અગ્નિ સંસ્કારથી કરાયા હતા.
પારસી સમુદાય ભારતમાં ક્યાંથી અને કેવી રીતે આવ્યો?
દુનિયાનો એક ઘણો જ નાનો, પરંતુ ઘણો જ સફળ સમુદાય છે જરથોસ્ત્ર. જેને પારસી સમુદાયના નામથી પણ ઓળખવામાં આવે છે. પારસી ધર્મ વિશ્વના કેટલાંક સૌથી જૂનાં ધર્મોમાંથી એક છે. આ સમુદાયના લોકો ફારસી વંશજના લોકો છે. જેને ઈરાનના નામથી ઓળખવામાં આવે છે.
આ લોકો 1000 વર્ષ પહેલાં જ ફારસમાં તેમના પર કરવામાં આવતા અત્યાચારોથી બચવા માટે પોતાનો દેશ છોડીને ભારત આવી ગયા હતા. પારસી સમુદાયના લોકો આગળ ચાલીને ભારતના સૌથી અમીર લોકોમાં સામેલ થયા. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેનાર ફિરોઝશાહ મહેતા, દાદાભાઈ નવરોજજી અને ભીખાજી કામા પણ પારસી જ હતા. પારસીઓની વસતિ દુનિયાભરમાં 1થી 2 લાખ વચ્ચે જ છે. જેમાંથી સૌથી વધુ 60,000 પારસી ભારતમાં રહે છે.
શું છે પારસીઓના અંતિમસંસ્કાર સાથે જોડાયેલી જેઆરડી ટાટાની વાત?
મુંબઈમાં પારસીઓના અંતિમ સંસ્કારની વૈકલ્પિક વ્યવસ્થા માટે પહેલાં પ્રાર્થન હોલની શરૂઆત 1980ના દશકામાં જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી ટાટાના કારણે પડી હતી. એક એવો પ્રાર્થના હોલ જ્યાં પારસીઓના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને દફનાવવા કે દાહ સંસ્કારની વ્યવસ્થા હોય.
80ના દશકામાં જેઆરડી ટાટાએ પોતાના ભાઈ બીઆરડી ટાટાના નિધન પછી મુંબઈના મ્યુન્સિપલ કમિશનર જમશેદ કાંગાને પૂછ્યું હતું કે તેમના ભાઈના અંતિમ સંસ્કાર માટે મુંબઈમાં કયું શ્મશાનઘર યોગ્ય રહેશે. જાણીતા ઉદ્યોગપતિ હોવાને કારણે તેમના અંતિમ સંસ્કારમાં અનેક ગણમાન્ય લોકો આવવાના હતા.
તે સમયે કેટલાંક શ્મશાનઘર બંધ હતા અને તેમને અપગ્રેડ કરવામાં આવી રહ્યાં હતા, જ્યારે બીજા જર્જરીત સ્થિતિમાં હતા. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે દાદરમાં એક શ્મશાનઘરને સાફ કરાવવામાં આવ્યું, પરંતુ જ્યારે જમશેદ કાંગા જેઆરડી ટાટાને સાંત્વના આપવા ત્યાં પહોંચ્યા તો તેમને કહેવામાં આવ્યું કે મુંબઈમાં શ્મશાનઘરની સુવિધાઓ વધુ સારી કરવી જોઈએ.