અંગ્રેજોના જમાનાનો 157 વર્ષ જૂનો પૂલ ધરાશાયી થઈ ગયો હતો. 138 પૈડાવાળો ટ્રક ભારે મશીનરી લઈને જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે પુલ તેનો વજન સહન કરી શક્યો નહોતો. ટ્રક જેવો પસાર થયો કે પુલ કડડભૂસ થઈને ભાંગી પડ્યો હતો. ટ્રક ઉંધો લટકી ગયો હતો. આ અંગેની તસવીરો સોશ્યલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
મધ્યપ્રદેશના નર્મદાપૂરમ જિલ્લામાં ભોપાલ-નાગપુર નેશનલ હાઈવે પર આ બનાવ બન્યો હતો. 157 વર્ષ જૂનો આ પુલ અંદાજે 25 ફુટ ઉંચો હતો. સુખતવા નદી પર બનેલા પુલ પર જે ટ્રકના કારણે અકસ્માત થયો તે ઈટારસી પાવર ગ્રિડ જઈ રહ્યો હતો. જેનું વજન પુલ સહન કરી શક્યો નહોતો અને જમીનદોસ્ત થઈ ગયો હતો. આ પુલ પરથી દરરોજ 5 હજારથી વધુ વાહન પસાર થતા હતા. અકસ્માત બાદ હાઈવે બંધ થઈ ગયો હતો. જેના કારણે બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી.
130 ટનના વજનની મશીનરી લઈને જતો હતો ટ્રક
ટ્રકમાં પાવર ગ્રિડમાં લગાડવામાં આવતી તોશિબા કંપનીની 17 ફૂટ ઉંચી અને 20 ફૂટ લાંબી અંદાજે 130 ટનના વજનની મશીન રાખવામાં આવી હતી. આ ટ્રોલીમાં એક એક્સેલમાં 8 ટાયર લાગેલા હતા. 16 એક્સેલમાં કુલ 128 ટાયર લાગેલા હતા. જ્યારે ટ્રોલીને ખેંચવા માટેના ટ્રકમાં 10 ટાયર લાગેલા હતા. ટ્રકમાં ડ્રાઈવર સહિત 4 લોકો સવાર હતા, જેને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
6 માર્ચે હૈદરાબાદથી ટ્રક નીકળ્યો હતો
આ ટ્રક હૈદરાબાદથી ઈટારસી જવા માટે 6 માર્ચના રોજ નીકળ્યો હતો. પણ રસ્તામા ખરાબ થઈ જતા તેને 4 દિવસ સુધી બૈતુલ નજીક હાઈવે પાસે ઉભો રાખવો પડ્યો હતો. જેના રિપેરિંગ માટે એન્જિનિયર બોલાવવામાં આવ્યો હતો. રિપેરિંગ બાદ ટ્રક બૈતુલથી ઈટારસી જવા માટે રવિવારે નીકળ્યો હતો.
ઘટના પછી જિલ્લા કલેક્ટર નીરજસિંહ અને એસપી ગુરુ કરણસિંહે ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. ઘટના પછી ઈટારસી-બૈતુલ હાઈવે બંધ કરી દીધો છે. બૈતુલ અને નાગપુરની બસો ઉપરાંત અન્ય વાહનોને હરદા ડાયવર્ટ થઈને મોકલવામાં આવી રહ્યા છે.