અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2માં સતત બીજી વખતે રાજ્યકક્ષાના મંત્રીના શપથ લેતી વખતે ગુજરાતના મંત્રી મનસુખ માંડવિયાએ ઉતાવળ કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બધાંની વચ્ચે તેમને ટોક્યા હતાં. કેવી રીતે શપથ લેવા તે બાબતે પણ રાષ્ટ્રપતિ કોવિંદે તેમને માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ મનસુખ માંડવિયાએ સ્વસ્થતા કેળવી હતી અને રાષ્ટ્રપતિના સૂચન પ્રમાણે શપથવિધિ પૂર્ણ કરી હતી.
શપથવિધિના પ્રોટોકોલ મુજબ કોઈ પણ મંત્રી હિન્દી ભાષામાં શપથ લેવાના હોય તો રાષ્ટ્રપતિ પહેલા ‘મેં’ શબ્દ બોલતા હોય છે. ત્યાર પછી જે-તે મંત્રીએ ‘મેં’ શબ્દથી શપથનું ઉચ્ચારણ શરૂ કરી પોતાનું નામ પાછળ બોલીને શપથ લેવાના હોય છે.
જોકે મનસુખ માંડવિયા કોઈ કારણસર આ પ્રક્રિયા ભૂલી ગયા અને થયું એવું કે રામનાથ કોવિંદ ‘મેં’ શબ્દ બોલ્યા ત્યાર બાદ પોતે પહેલાં ‘મેં’ શબ્દ બોલવાને બદલે મનસુખ માંડવિયાએ સીધે-સીધું ‘મનસુખ માંડવિયા ઈશ્વર કી શપથ…’ બોલ્યા હતાં. જોકે, રાષ્ટ્રપતિએ સંપૂર્ણ સ્વસ્થતા સાથે બે વખત મંત્રીજી… મંત્રીજી… બોલીને મનસુખ માંડવિયાને અટકાવ્યા હતા અને પહેલા ‘મેં’ શબ્દ બોલવા કહ્યું હતું. આમ કર્યા બાદ માંડવિયાએ શપથવિધિ પૂર્ણ કરી હતી.