ગુજરાતી ક્રિકેટર વિષ્ણુ સોલંકી પર આભ તૂટી પડ્યું છે. નવજાત દીકરીના અવસાનના 15 દિવસ બાદ પિતાએ પણ અંતિમ શ્વાસ લીધા છે. પરિવારમાં 15 દિવસની અંદર દીકરી અને પિતાના મોતથી ક્રિકેટર વિષ્ણુ સોલંકીને ઘેરો આઘાત લાગ્યો છે. જોકે આમ છતાં રમત પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા ક્રિકેટ રમવાનું બંધ કર્યું નથી. વિષ્ણુ સોલંકી હાલ ઓરિસ્સાના કટકમાં રણજી ટ્રોફી રમી રહ્યો છે. કિક્રેટરે ત્યાંથી વીડિયો કોલ પર ભીની આંખે પિતાના અંતિમ દર્શન વિદાઈ આપી હતી.
પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના રાઇટ હેન્ડ બેસ્ટમેન વિષ્ણુ સોલંકીની નવજાત દીકરીનું 15 દિવસ પહેલાં નિધન થયું હતું. ક્રિકેટર આ આઘાતમાંથી બહાર પણ નહોતો આવ્યો કે હવે તેના પિતા પરસોતમભાઈ સોલકીએ આંખો મીચી દીધી છે. હાલ ઓરિસ્સામાં કટકમાં મેચ રમી રહેલા વિષ્ણુએ વીડિયો કોલથી પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. વિષ્ણુ સોલંકીના માતા અને પરિવારના હૈયાફાટ રુદનથી ઘરમાં ગમગીનીભર્યો માહોલ પ્રસરી ગયો હતો
15 દિવસ પહેલા દીકરીનું અવસાન થયું હતું
નોંધનીય છે કે બરોડા ટીમના રાઇટ હેન્ડ બેટ્સમેન વિષ્ણુ સોલંકી 6 ફેબ્રુઆરીએ ટીમ સાથે રણજી ટ્રોફી રમવા ભુવનેશ્વર પહોંચ્યો હતો. દરમિયાન તેને 11 ફેબ્રુઆરીએ મોડી રાત્રે ખુશ ખબર મળી હતી કે તેને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. વિષ્ણુના લગ્ન જીવનમાં આ પ્રથમ સંતાન હતુ. જો કે આ ખુશી લાંબો સમય ટકી નહી અને બીજા દિવસે જ એટલે કે 12 ફેબ્રુઆરીની રાત્રે માઠા સમાચાર મળ્યા કે પુત્રીનુ મૃત્યુ થયુ છે. વિષ્ણુ તુરંત ભુવનેશ્વરથી વડોદરા પહોંચ્યો હતો અને 13 ફેબ્રુઆરીએ દીકરીની અંતિમક્રિયા પૂર્ણ કરી હતી. પરિવાર આ દુખથી ભાંગી પડયો હોવાથી વિષ્ણુ ચાર દિવસ પરિવાર સાથે રહ્યો હતો અને તા.17 ફેબ્રુઆરીએ તે ભુવનેશ્વર પરત ફર્યો હતો
15 દિવસ બાદ હવે પિતાએ આંખો મીચી
ઘરમાં નવજાત દીકરીના અવસાન થયાને 15 દિવસ વિત્યા હતા કે વધુ એક માઠા સમાચાર આવ્યા હતા. 26મી ફેબ્રુઆરીએ વિષ્ણુ સોલંકીના પિતા પરસોતમભાઈ સોલકીનું અવસાન થયું હતું. વિષ્ણુ હાલ ઓરિસ્સાના કટકમાં છે. અને રણજી મેચ રમી રહ્યો છે. આઘાતજનક સમાચા મળ્યા છતાં ખેલાડીએ રમત ચાલુ રાખી હતી. તેણે કટકથી મોબાઈલ પર પિતાના અંતિમ સંસ્કાર નિહાળ્યા હતા.
દીકરીના નિધન બાદ સદી ફટકારી હતી
ભુવનેશ્વર પરત ફર્યા બાદ વિષ્ણુ સોલંકી પોતાની રણજી ટીમ સાથે જોડાઈ ગયો હતો. બાદમાં 23 ફેબ્રુઆરીના રોજ ચંદીગઢ સાથે રમાયેલી મેચમાં 157 બોલમાં શાનદાર 103 રન ફટકાર્યા હતા. આ રનની મદદથી તેણે ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી. દીકરીના અવસાન બાદ પણ શાનદાર સદી ફટકારના વિષ્ણુ સોલંકીના ચારેતરફ વખાણ થયા હતા.
લોકેએ કર્યા વખાણ
લોકો વિષ્ણુ સોલંકીના જુસ્સાના વખાણ કરી રહ્યા છે. ફેન્સે કહ્યુ હતું કે કપરા સંજોગોમાં પણ વિષ્ણુ સોલંકીએ ક્રિકેટ પ્રત્યે અને ટીમ પ્રત્યે જે સમર્પણ બતાવ્યુ છે તેનાથી તે એક અનોખા ક્રિકેટર તરીકે તરી આવે છે.