નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી રહી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ, મોતીલાલ વોરા, ગુલામ નબી આઝાદ અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હાજર છે.
કહેવામાં આવી રહ્યું છે કે હારની જવાબદારી સ્વિકારતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના પદ પરથી રાજીનામાની ઑફર કરી શકે છે. જોકે આ બેઠકમાં કયા એજન્ડા પર ચર્ચા થવાની છે તેની સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીનું રાજીનામું સ્વિકારમાં આવશે નહીં અને પાર્ટી તેમના નેતૃત્વમાં કામ કરવાનો ભરોસો વ્યક્ત કરશે.
રાજીનામની ઑફરથી રાહુલ એ મેસેજ આપવા માંગે છે કે પાર્ટીના 2014 જેવા ખરાબ પ્રદર્શન માટે તેઓ જવાબદાર છે. 2014મા કોંગ્રેસે 44 બેઠક જીતી હતી, આ વખતે પાર્ટીને માત્ર 8 બેઠકનો ફાયદો થયો છે. જાણકારી મુજબ મિટિંગમાં લોકસભા ચૂંટણીમાં મળેલી હારની ચર્ચા થઈ શકે છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં, જ્યાં પાર્ટી પાંચ મહિના પહેલાં જ વિધાનસભા ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પર પણ મંથન થઈ શકે છે. અહીં કોંગ્રેસ સત્તામાં હતી, છતાં પણ ભાજપે અહીં 28માંથી 25 સીટો પર જીત હાંસલ કરી હતી. કોંગ્રેસને ફક્ત એક સીટથી સંતોષ માનવો પડ્યો હતો.
ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોએ સોંપ્યુ રાજીનામું
દરમિયાન પ્રાપ્ત વિગત મુજબ કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષોને હારની જવાબદારી લેતા રાજીનામું આપ્યું છે.