કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો રોલ ભજવીને જાણીતા બનેલા દિલીપ જોષીએ 1989માં ‘મૈંને પ્યાર કિયા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આજે દિલીપ જોષી ઘેરઘેર જેઠાલાલ તરીકે લોકપ્રિય છે. તાજેતરમાં જ દિલીપ જોષીએ સિરિયલ તથા ટીવી અંગે વાત કરી હતી.
‘ઇટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે ટેલિવિઝન તેમના માટે ગેમ-ચેન્જર સાબિત થયું છે. આ માધ્યમે તેમને બધું જ આપ્યું છે. તે જેઠાલાલનો રોલ પ્લે કરીને ઘણાં જ ખુશ છે.
દિલીપ જોષીને પૂછવામાં આવ્યું કે આટલા વર્ષોથી તે એક જ પ્રકારનો રોલ કરીને કંટાળી નથી ગયા? તો તેમણે કહ્યું હતું કે તેમનો શો કોમેડી છે અને તે શોમાં કામ કરીને ખુશ છે. જે દિવસે તેમને આ શોમાં કામ કરવાનો કંટાળો આવશે તે દિવસે આ શો છોડી દેશે. આ શોમાં કામ કરવાની તેમને ઘણી જ મજા આવે છે. જે દિવસે તેમને આ શોમાં કામ કરવાની મજા નહીં આવે તે દિવસે તે આ શો છોડી દેશે. ઉલ્લેખનીય છે કે દિલીપ જોષી 2008થી આ સિરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવે છે.
ચાહકો ઘણો જ પ્રેમ કરે છે
વધુમાં દિલીપ જોષીએ કહ્યું હતું કે હાલમાં પણ તેમને વિવિધ શોની ઑફર્સ આવે છે પરંતુ તે અન્ય શો માટે આ શો છોડવા તૈયાર નથી. આ શોમાં કામ કરવાનો અનુભવ ઘણો જ સારો રહ્યો છે અને તે આનાથી ઘણાં જ ખુશ છે. ચાહકોનો ઘણો જ પ્રેમ મળ્યો છે અને તેથી જ તે કોઈ કારણ વગર આ શો હાલમાં છોડવા તૈયાર નથી.
બોલિવૂડ કરતાં ટીવી મોટું
દિલીપ જોષી માને છે કે ટીવી, બોલિવૂડ કરતાં મોટું છે, કારણ કે તે ગ્લોબલ બની ગયું છે. જ્યાં પણ ભારતીય ચેનલ આવે છે, દર્શકો તે જુએ છે. અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ શો હોસ્ટ કરીને ટેલિવિઝનને તદ્દન બદલી નાખ્યું છે. જ્યારે દર્શકો તેમને ટીવી પર જોઈ શકે છે ત્યારે ટીવીનું મહત્ત્વ વધી ગયું, દર્શકો ટીવીને વધુ માન આપતા થયા. ત્યારથી ટીવી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ વધ્યો છે.
ફિલ્મમાં કામ કરવું છે
દિલીર જોષીએ ‘મૈંને પ્યાર કિયા’થી કરિયરની શરૂઆત કરી હતી અને તે હજી પણ ફિલ્મમાં કામ કરવા માગે છે. એક્ટરે કહ્યું હતું, ‘એક્ટિંગમાં હું ઘણું બધું કરવા માગું છું. હજી તો આખું જીવન બાકી છે. આજની ફિલ્મના સબ્જેક્ટ્સ ઘણાં જ સારા હોય છે, આથી જ જો મને સારો રોલ ઑફર કરવામાં આવે તો હું ક્યારેય તે રિજેક્ટ કરું નહીં. હાલમાં તો હું જીવનમાં જે બની રહ્યું છે તેને એન્જોય કરી રહ્યો છું.’
11 ડિસેમ્બરના રોજ દીકરીનું રિસેપ્શન હતું
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ દિલીપ જોષીની દીકરી નિયતિ જોષીના લગ્ન 8 ડિસેમ્બરના રોજ નાશિકમાં યોજાયા હતા. આ લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. 11 ડિસેમ્બરે મુંબઈની હોટલમાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. દિલીપ જોષીએ દીકરીના લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘તમે ફિલ્મ્સ તથા ગીતોમાંથી લાગણી ઉછીની લઈ શકો છો, પરંતુ જ્યારે તમારી સાથે આ પહેલી જ વાર બને ત્યારે તે અનુભવ અપ્રિતમ હોય છે. મારી નાનકડી દીકરી નિયતા તથા અમારા પરિવારમાં સામેલ થયેલ અમારા દીકરા યશોવર્ધનને આ નવી સફર માટે ઘણી જ શુભેચ્છા. અમને શુભેચ્છા મોકલનાર તથા આશીર્વાદ આપનાર તમામ વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.