જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક દુઃખદ ઘટના સામે આવી હતી. માતા તો બાળકો માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ અહીંયા સાવકી માતાએ જે કર્યું તે જોઈને પથ્થર હૃદયના માનવીનું પણ કાળજું પીગળી ગયું. પહેલી પત્નીના મોત બાદ 2 માસૂમ બાળકોને માતાનો પ્રેમ મળે તે માટે રિટાયર્ડ આર્મી જવાને પરિવારના કહેવાથી બીજા લગ્ન કર્યાં હતાં. લગ્નમાં આર્મી મેને 3 લાખ રૂપિયા પણ ખર્ચ કર્યા હતા. જોકે, લગ્નના ત્રીજા દિવસે જ લૂંટેરી દુલ્હન ભાગી ગઈ હતી.
પતિની ગેરહાજરીમાં બાળકોને ધીબી નાખ્યા: લગ્નના ત્રીજા જ દિવસે પતિની ગેરહાજરીમાં દુલ્હને 14 વર્ષીય દીકરી તથા 11 વર્ષીય દીકરાને ક્રૂર રીતે માર્યા હતા. ત્યારબાદ તક મળતા જ ઘરમાં મૂકેલા ઘરેણા લઈને ભાગી ગઈ હતી. આ ઘરેણાની કિંમત પાંચ લાખ રૂપિયા હતી. આ ઘટના બાદ પતિએ જયપુરના હરમાડા પોલીસ સ્ટેશનમાં શનિવાર, 10 જુલાઈના રોજ કેસ કર્યો હતો. આ લગ્ન 30 એપ્રિલના રોજ એક હોટલમાં થયા હતા. જોકે, દુલ્હન રેખા લગ્નના ત્રીજા જ દિવસે ભાગી ગઈ હતી. રામદયાલે પોતાની રીતે પત્નીને પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હારી થાકીને તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
શું છે પૂરો કેસ? પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, પીડિત પતિની પહેલી પત્નીનું મોત ગયા વર્ષે થયું હતું. ત્યારબાદ બંને બાળકોની જવાબદારી દાદા-દાદી પર આવી ગઈ હતી. પત્નીના મોત બાદ રિટાયર્ડ આર્મી જવાન રામદયાલ જાટને પરિવારે બીજા લગ્ન કરવાનું કહ્યું હતું. પીડિતની મુલાકાત ઓફિસથી ઘરે પરત આવતી બસમાં શ્યામ સુંદર સાથે થઈ હતી. આ જ વ્યક્તિએ રેખા અંગે માહિતી આપી હતી. તેણે રેખા અંગે કહ્યું હતું કે તે સારા પરિવારની છે અને ગરીબ હોવાની વાત કહી હતી. શ્યામ સુંદરે એમ પણ કહ્યું હતું કે લગ્નનો ખર્ચ રામદયાલે જ ઉઠાવવો પડશે.
નિકટના સભ્યોનું દબાણઃ પીડિતના જણાવ્યા પ્રમાણે, રેખા સાથે પહેલીવાર વાતચીત થઈ પછી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે, પરિવારના દબાણને કારણે તેણે લગ્ન કરી લીધા હતા. પીડિતે 3 લાખ રૂપિયા શ્યામ સુંદરને આપ્યા હતા. ત્યારબાદ 30 એપ્રિલે શ્યામ સુંદરે રેખા તથા રામદયાલના લગ્ન કરાવ્યા હતા. જોકે, લગ્ન બાદ જ રેખાએ ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું હતું.
લગ્ન બાદ તરત જ ઝઘડા કર્યાઃ લગ્ન કર્યા બાદ રેખા જ્યારે ગૃહ પ્રવેશ કરીને ઘરમાં આવી ત્યારે તેણે પતિ સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. ત્રણ દિવસ રહી એમાં તો એક દિવસ મારપીટ પણ કરી હતી. ત્રીજા દિવસે બાળકોને ફટકારી તથા ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. કહેવાય છે કે ઘટના બાદ પીડિતે પોતાના પરિવાર તથા શ્યામ સુંદરના માધ્યમથી રેખાને સમજાવીને પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અંતે હારીને રામદયાલે હરમાડા પોલીસ સ્ટેશનમાં જઈને શ્યામ સુંદર તથા રેખા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.