કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી. છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5 થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી. પણ પંદરેક દિવસ પહેલાં તેમણે મને કહ્યું હતું કે, કફ ગળામાં અટકે ત્યારે શ્વાસ રૂંધાતો હોય એવું લાગે છે. તેઓ બહુ બોલી પણ ન શકતા. એમ તેમનાં સેવક રાજુભાઇ રાઠોડે એક ખાનગી ન્યુઝ પેપરને જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાપુને અહીં જગ્યામાંજ આવતીકાલ તા. 7 ફેબ્રુઆરીએ સોમવારે બપોરે 3 વાગ્યે સમાધિ અપાશે. તેમની વય વિશે અનેક માન્યતા છે. આમ છત્તાં તેઓ 97 થી 100 વર્ષનાં હોવાનું માની શકાય. કાશ્મીરીબાપુ નિરંજની અખાડાનાં હોઇ અખાડાનાં આગેવાન સંત અને પ્રયાગરાજથી વાઘંબરી ગાદીના શ્રીમહંત બલવીરપુરીજી અહીં આવવા નિકળી ગયા છે. તેઓ ઉપરાંત મુંબઇના મહાલક્ષ્મીમાં હનુમાનજી મંદિરના શ્રીમહંત કેશવપુરીજી, બાપુનાં ગુરૂભાઇ હરગોવિંદપુરીજી આવી પહોંચ્યા છે.
આ ઉપરાંત અન્ય સંતોની ઉપસ્થિતીમાં તેમને સમાધિ આપવામાં આવનાર છે. બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી કાચની પેટીમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વર્ષો સુધી જંગલમાં આવેલ આશ્રમમાં ધૂણી ધખાવી ભજન સાથે ભોજન કરાવી સતત અન્નક્ષેત્ર ધમધમતું રાખનાર નિરંજન અખાડાના સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા હોવાના સમાચાર વાયુ વેગે શહેરમાં પહોંચી જતા તેમનો વિશાળ શિષ્ય સમુદાય શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જ્યારે બાપુના અંતિમ દર્શન કરવા માટે રવિવારે આખો દિવસ ભાવિકોની ભીડ ઉમટી પડી હતી.
અનેક શિષ્યોએ બાપુના અંતિમ દર્શન કરી ભાવભીની શ્રદ્ધાંજલી અર્પી હતી.આ તકે અનેક સંતો, મહંતોએ પણ ઉપસ્થિત રહી બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. દરમિયાન સોમવારે સવારે 11 વાગ્યે તેમને જગ્યામાં જ સમાધી અપાશે. આમ, સોમવારે સવારના પણ બાપુના અંતિમ દર્શન કરી શકાશે.
બાપુએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પણ કઢાવેલા: કાશ્મીરીબાપુએ એક જવાબદાર નાગરિક તરીકે પોતાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ સુદ્ધાં કઢાવ્યા હતા.
અખાડાનાં ઇષ્ટદેવ જ તેમના ગુરૂ : નિરંજની અખાડામાં એવી પરંપરા છેકે, કોઇ વ્યક્તિને સન્યસ્તની દિક્ષા અપાય ત્યારબાદ તેમના નામની પાછળ દિક્ષા આપનાર ગુરૂ નહીં પણ અખાડાનાં ઇષ્ટદેવ નિરંજનીદેવ એટલેકે, ભગવાન કાર્તિકેયનું નામ લગાડાય છે. કાશ્મીરીબાપુની જગ્યામાં જ જૂનાગઢનું એકમાત્ર કાર્તિકેય ભગવાનનું મંદિર પણ છે. કાશ્મીરીબાપુએ અંદાજે 70 વર્ષ પહેલાં બ્રહ્મપુરીજી પાસેથી સન્યસ્તની દિક્ષા લીધી હતી. એમ મુંબઇથી આવેલા શ્રીમહંત કેશવપુરીજીએ જણાવ્યું હતું.
3 દિવસ પછી સમાધિ જુવારવાનો કાર્યક્રમ
કાશ્મીરીબાપુને સમાધિ અપાયા બાદ 3 દિવસ પછી સન્યાસીઓની પરંપરા મુજબ, સમાધિ જુવારવાનો કાર્યક્રમ થશે. જેને ધૂળલોટનો કાર્યક્રમ પણ કહેવામાં આવે છે. મૃતક પાછળ થતી ધાર્મિક ક્રિયા પૈકીની તે એક છે એમ રાજુભાઇ રાઠોડે જણાવ્યું હતું.
ઉપલાદાતારનાં પટેલબાપુ સાથે આત્મિયતા હતી
કાશ્મીરીબાપુને ઉપલાદાતારનાં પટેલબાપુ સાથે ખુબજ આત્મિયતા હતી. વર્ષો પહેલાં તેઓ ત્યાં એક-એક મહિનો રોકાતા. અવારનવાર તેમને મળવા જતા અને તેમની સાથે ગોષ્ઠિ કરતા. એમ રાજુભાઇ રાઠોડે જણાવ્યું હતું.