નિકોલમાં રહેતા કુવારા યુવક સાથે લગ્ન કરીને મુંબઇની લૂંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે દાગીના તથા રોકડ સહિત 2 લાખની મત્તા લઇને નાસી ગઇ હોવાનો બનાવ બન્યો હતો. નિકોલ પોલીસે કન્યા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં વિરાટનગર પાસે પુરસોત્તમનગરમાં રહેતા રેખાબહેન પીન્ટું ભાઇ સોનકુશરે નિકોલ પોલીસ સ્ટેશનમાં નવસારીના ચાંદની ચોકમાં રહેતા નરેશભાઇ ઠાકોરભાઇ રાણા તથા મુંબાઇની મહિલા સહિત કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મહિલાના ભાઇ લક્ષ્મણભાઇ વિજયભાઇ બારાપાત્ર કુવારા હોવાથી તેમના લગ્ન માટે કન્યાની શોધખોળ કરતા હતા જેથી છ મહિના પહેલા વાતથી વાત મળતા નરેશભાઇના સંપર્ક કર્યા હતો.
નરેશભાઇએ મુંબઇની કન્યા હોવાની વાત કરીને વોટ્એપ પર મહિલાના ફોટા મોકલતાં યુવકે મહિલાને પસંદ કરી હતી બાદમાં પરિવારજનો મુંબઇ ગયા હતા અને બાદમાં લગ્નની તૈયારીઓ હાથ ધરી હતી. બીજીતરફ વચટીયાએ પણ ખોટા બહાના બતાવીને ઉતાવળે લગ્ન કરવાની વાત કરી હતી. જેથી તા.૨૬ ફેબુ્રઆરીના રોજ કન્યા અમદાવાદ યુવકના ઘરે આવી હતી અને મહારાજ બોલાવીને ઘરે જ લગ્ન કર્યા હતા.
દાગીના તથા રોકડ સહિત કુલ બે લાખનો ખર્ચ થયો હતો. બાદમાં લગ્નના બીજા જ દિવસે કન્યાએ પાવાગઢ દર્શન કરવા જવાની વાત કરી હતી. જેથી યુવક તેને લઇને કાલુપુર રેલ્વે સ્ટેશન ગયો હતો. જો કે બાદમાં કન્યાએ પોતાની માતાનું મોત થયું હોવાની વાત કરીને મુંબઇ જતી રહી હતી .બાદમાં પરત આવી ન હતી, જ્યારે વચેટીયા પણ ફોન ઉપાડતા ન હતા.