વધુ એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. પંજાબ નેશનલ બેંકની આસિસ્ટન્ટ મેનેજરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. વહેલી સવારે દૂધ આપવાવાળાએ શ્રદ્ધાના રૂમનો દરવાજો ખખડાવતા કોઈ જવાબ આવ્યો નહોતો. બાદમાં મકાન માલિકે બારીમાંથી અંદર નજર કરી તો શ્રદ્ધા દુપટ્ટાથી લટકતી હતી. શ્રદ્ધા ગુપ્તાએ પોતાની સુસાઇડ નોટમાં આઇપીએસ આશીષ તિવારી સહિત 3 લોકોને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.
આ કિસ્સો ઉત્તરપ્રદેશના અયોધ્યાનો છે. શ્રદ્ધા ગુપ્તા પંજાબ નેશનલ બેંકન મુખ્ય શાખા ખ્વાસપુરામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી. મૂળ લખનઉની રહેવાશી શ્રદ્ધા અયોધ્યામાં છેલ્લા વર્ષથી ફરજ બજાવતી હતી. શ્રદ્ધાએ 2015માં પંજાબ નેશનલ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરીની શરૂઆત કરી હતી. પ્રમોશન બાદ શ્રદ્ધાને બછડા સુલતાનપુરાની બ્રાંચમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે મોકલવામાં આવી હતી. અહીંયા તેણે બેંકની સામે વિષ્ણુ એન્ડ કંપની બિલ્ડિંગમાં ઘર ભાડે રાખ્યું હતું. અહીંયા તે એકલી રહેતી હતી.
બારીમાંથી દુપટ્ટા સાથે લટકતી જોવા મળીઃ સવારે જ્યારે દૂધવાળાએ દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કોઈ અવાજ આવ્યો નહોતો. તેણે મકાન માલિકને આ અંગે વાત કરી હતી. મકાન માલિકે જોયું તો શ્રદ્ધા દુપટ્ટા સાથે પંખા પર લટકતી હતી. મકાન માલિકે પોલીસને ફોન કરીને જાણ કરી હતી.
શ્રદ્ધાની સુસાઇડ નોટ અંગ્રેજીમાંઃ કેસ સંવેદનશીલ હોવાથી એસએસપી શૈલેષ પાંડેય પણ ઘટનાસ્થળે આવ્યા હતા. બારી તોડીને પોલીસનો એક માણસ અંદર ગયો હતો અને દરવાજો ખોલીન લાશ બહાર કાઢવામાં આવી હતી. રૂમની તપાસ કરતાં અંગ્રેજીમાં લખેલી સુસાઇડ નોટ મળી હતી. આ સુસાઇડ નોટમાં રાજેશ, વિવેક ગુપ્તા, અનિલ રાવત (પોલીસ ફૈઝાબાદ) તથા આશીષ તિવારી (એસએસએફ હેડ લખનઉ)ને મોત માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા. સુસાઇડ નોટને તપાસ અર્થે ફોરેન્સિક લેબ મોકલવામાં આવી છે.
પરિવાર ફોન કરતો રહ્યો…: શ્રદ્ધાના પરિવારના સભ્યે દીપે કહ્યું હતું કે તેઓ એક દિવસ પહેલાં એટલે કે શુક્રવાર, 29 ઓક્ટોબરની સાંજથી ફોન કરતા હતા. જોકે, શ્રદ્ધાએ ફોન ઉપાડ્યો નહોતો. શનિવાર, 30 ઓક્ટોબરે સવારે પણ કોઈએ ફોન ના ઉપાડ્યો. પોલીસે આ દુઃખદ ઘટના અંગે જાણ કરી હતી.
શુક્રવારે શ્રદ્ધા ડ્યૂટી પર હાજર નહોતીઃ પોલીસે બેંકના કર્મચારીઓની પૂછપરછ કરી હતી. ગુરુવારે આયોજિત એક ઇવેન્ટમાં શ્રદ્ધા સામેલ થઈ હતી, પરંતુ શુક્રવારે આવી નહોતી. અયોધ્યા પોલીસે આઇએએસ આશીષ તિવારીનો સંપર્ક કર્યો છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી સ્પષ્ટ થશે.