અમદાવાદ: ગુજરાતના ઈતિહાસના પાનામાં અમુક એવી ગોજારી ઘટનાઓ લખાઈ ચૂકી છે જે ક્યારેય ભૂલાઈ એમ નથી. તેમાંથી એક ઘટના એટલે મચ્છુ જળ હોનારત. આજથી 40 વર્ષ પહેલાં 11 ઓગસ્ટ 1979ની જળ હોનારતની એ ઘટના મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકવાના નથી.ભલભલાનું કાળજું કંપાવી દેનારી આ ઘટનાએ ઔધોગિક નગરી મોરબીને તબાહ કરી દીધી હતી.
10 ઓગસ્ટ 1979ની એ કાળ રાત્રે મોરબી પંથકમાં 25 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં પડેલાં ભારે વરસાદના કારણે મચ્છુ ડેમમાં જોરદાર પાણીનો પ્રવાહ આવ્યો હતો. ડેમમાં અફાટ પાણીની આવક થતાં ગામ લોકો જાતે દરવાજા ખોલવા લાગી ગયા હતા. જોકે લાઈટ ન હોવાથી હેન્ડલથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવામાં હતો અને કમનસીબે દરવાજા ખૂલ્યા નહોતા. ડેમ પાણીનો માર સહન ન કરી શકતાં અંતે પાસે આવેલા નવાગામ બાજુનો માટીનો પાળો તૂટયો હતો. પાણીનો એવો તે પ્રવાહ વહ્યો કે ગામનો ગામને ઝપટમાં લીધા હતા. ગામોનો વિનાશ કરતો પાણીનો પ્રવાહ મોરબી શહેરમાં પ્રવેશ્યો હતો અને 30 ફૂટ ઉંચા પાણીનો મોજા મોરબીમાં ફરી વળ્યા હતા.
આ હોનાતરથી અંદાજે 8 હજાર જેટલા કાચા-પાકા મકાનો નાશ પામ્યા હતા. સરકારના રિપોર્ટ મુજબ આ હોનારતથી 1439 માનવ અને 12,849 પશુઓએ જીવ ગુમાવ્યા હતા. માણસો અને પશુઓના મૃતદેહો થાંભલા અને મકાનો પર ચોંટી ગયા હતા. મૃતદેહોનો એવડો તો ખડકલો થયો કે સામુહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.