નખત્રાણા તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર સોમવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દવાખાને જતા ગોસ્વામી પરિવારના ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે હજુ બે લોકોની હાલત ગંભીર છે. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પરિવારજનો અને અગ્રણીઓ બનાવ સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગયા હતા.
બે લોકોને હાલત ગંભીર
બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ નખત્રાણાના ગોસ્વામી પરિવારની બાળકીને ખેંચની બીમારી છે અને જેની માંડવીના ખાનગી તબીબની દવા ચાલુ છે. અલબત્ત, ગત રાત્રે બાળકીને ખેંચનો હુમલો આવતાં પરિવારજનો કાર મારફત બાળકીના ઈલાજ માટે માંડવી જતા હતા.
આ દરમિયાન કાર માર્ગ પર ઊભેલી ટ્રક પાછળ અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાસુ, વહુ, પૌત્ર અને દિયરના ગંભીર ઈજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યા છે.
જ્યારે જેની દવા લેવા જતા હતા એ બાળકી અને તેના પિતા ચેતન ગોસ્વામીને ઇજા પહોંચતાં હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ચેતન ગોસ્વામી અને તેમના કાકા પરેશ ગોસ્વામી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે.