રાજસ્થાનના બાડમેરમાં એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે. સદરના ઉંડખા ગામમાં એક મકાનમાં અચાનક આકાશમાંથી પથ્થરો પડી રહ્યા હતાં જે જોઈ બધાં ચોંકી ગયા હતાં. મહત્વની વાત એ છે કે, આ પથ્થરો છેલ્લા ત્રણ દિવસથી પડી રહ્યાં છે જોકે પથ્થર ફેંકતુ હોય તેવું કોઈ વ્યક્તિ પણ દેખાતું નથી જ્યારે પથ્થરો ઘરમાં જ પડી રહ્યાં છે અને તે કોઈને વાગતાં પણ નથી.
આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી તો પોલીસ તાબડતોડ તે ગામમાં દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસ સત્ય જાણવા માટે જ્યારે ઘરમાંથી તમામ લોકોને બહાર બોલાવી લેવામાં આવ્યા હતાં અને કેમેરા રેકોર્ડિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું તે દરમિયાન ઘરમાં એક પણ પથ્થર પડ્યો નહતો.
પરિવારના સભ્યોનું માનવું છે કે, અમને એવું લાગતું નથી કે કોઈ વ્યક્તિ અમારા ઘરમાં પથ્થર ફેંકે પરંતુ કોઈ દેવતાની નારાજગી જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ગ્રામપંચાયના સભ્યએ કહ્યું કે, અહીં પથ્થરો જ પડે છે માટે આ પરિવારની આપણે મદદ કરવી જોઈએ અને અહીં કેમેરા ગોઠવીને પથ્થરો ક્યાંથી આવે છે તેની શોધખોળ કરવી જોઈએ.
ઘરમાં પડી રહેલા પથ્થરની આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસકર્મીઓને સતત તકેદારી રાખવા અને કેમેરા ગોઠવીને વીડિયોગ્રાફી કરવા સૂચના આપવામાં આવી છે. તે દરમિયાન પોલીસ સ્ટેશનના અધિકારી અનિલ કુમારે કહ્યું કે, જ્યારે ઘરમાં પથ્થર પડવાની માહિતી મળી ત્યારે અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને ખરેખર અહીં પથ્થરો પડી રહ્યા હતાં. હવે તપાસ બાદ જ માલુમ પડશે કે પથ્થરો ક્યાંથી આવી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, ઘરની આસપાસ એવી કોઈ જગ્યા નથી કે જ્યાંથી પથ્થર ફેંકી શકાય.
તેમણે કહ્યું કે દૂર-દૂર સુધી એવું કોઈ ઘર નથી, જ્યાંથી કોઈ વ્યક્તિ પથ્થર ફેંકી શકે. આ ખરેખર એક આશ્ચર્યજનક ઘટના છે. આ મામલે સબ-ડિવિઝનલ ઓફિસર સમુદ્ર સિંહ ભાટીએ કહ્યું કે, આ અંધશ્રદ્ધા છે બીજું કંઈ નથી. તેમણે કહ્યું કે પરિવારનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. આવી ઘટનાઓ અગાઉ પણ સામે આવી છે અને લોકો અંધશ્રદ્ધામાં માને છે. તેણે કહ્યું કે જ્યારે અમે કેમેરા ચાલુ રાખ્યો ત્યારે કોઈ પથ્થર પડ્યો નથી. તેનો સ્પષ્ટ અર્થ છે કે આ એક અંધશ્રદ્ધા અને લોકોમાં ડર પેદા કરવા માટેનું તોફાની કૃત્ય છે.