સુરતમાં એક ખૂબ જ આઘાતજનક અને કરુણ બનાવ સામે આવ્યો છે. કાપોદ્રામાં માતાએ એક વર્ષના પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું હતું. માતા-પુત્રને સ્મિમેર લઇ જવાતાં જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેનું મોત થયું હતું. માનસિક સંતુલન ગુમાવી દેતાં માતાએ પગલું ભર્યું હોવાની પરિવારે આશંકા વ્યકત કરી છે.
કચરો નાખવા જવાનું કહી ઘરેથી નીકળ્યાં
નાના વરાછા શિવધારા ખાતે રહેતા જીગ્નેશભાઈ ગજેરા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે તેઓ કારખાને ગયા હતા ત્યારે બપોર તેમની 30 વર્ષીયપત્ની ચેતનાબેન તેમના એક વર્ષીય પુત્ર અંશને લઈ ઘરેથી નીકળ્યા હતા. અંશ ઘરમાં રહેતો ન હોવાથી તેને લઈ કચરો નાંખવા જઈ રહ્યાનું પાડોશી મહિલાને કહી નીકળ્યા બાદ ચેતનાબેન ઘરે પરત ફર્યા ન હતા. દરમિયાન બપોરે ચેતનાબેન અને અંશ ઝેર પીધેલી હાલતમાં ઝડફીયા સર્કલ પાસેથી મળી આવ્યા હતા.
પત્ની અને પુત્ર ઘરે ન દેખાતાં પોલીસને જાણ કરી
108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને સ્મીમેર ખસેડ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ચેતનાબેનનું સાંજે અને અંશનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું. બીજી તરફ સાંજે કારખાનેથી ઘરે આવેલા જીગ્નેશભાઈને પત્ની અને પુત્ર ઘરે ન દેખાતા તેમણે શોધખોળ કરી હતી. બંનેનો પત્તો ન લાગતા મોડી રાત્રે સરથાણા પોલીસમાં મિસિંગ નોંધાવી હતી. આ દરમિયાન એક મહિલા અને બાળક કાપોદ્રા ઝડફીયા સર્કલ પાસેથી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હોવાની સરથાણા પોલીસને જાણ થતા તેમણે બન્નેનો ફોટો જીગ્નેશભાઈને બતાવતા બન્નેની ઓળખ થઈ હતી. બનાવ અંગે કાપોદ્રા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માનસિક સંતુલન ગુમાવી પગલું ભર્યાની આશંકા
ચેતનાબેનના પતિ અને મામાએ જણાવ્યું હતું કે ચેતનાબેન તામસી સ્વભાવના હતા. 3 વર્ષ અગાઉ તેમણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. ત્યાર બાદ તેમને કોઈ પારિવારિક સમસ્યા ન હતી. ચેતનાબેને માનિસક સંતુલન ગુમાવી પગલું ભર્યાની આશંકા પરિવારે વ્યક્ત કરી છે.