અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. ગઈકાલે તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી હતી. ત્યારે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પોલીસ-બંદોબસ્ત વચ્ચે બન્ને આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને લાવવામાં આવ્યા હતા તેમજ બન્ને આરોપી વકીલને પણ મળ્યા હતા. પિતા-પુત્ર કોર્ટમાં જજ સમક્ષ ઉપસ્થિત થયા હતા. હવે પ્રજ્ઞેશ પટેલને જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું જમવાનું મળશે. આ કેસમાં આગળની વધુ કાર્યવાહી માટે કોર્ટે 1 સપ્ટેમ્બરે નક્કી કરી છે, આથી ચુસ્ત પોલીસ જપતામાં તથ્ય અને પ્રજ્ઞેશને ફરી જેલભેગા રવાના કરવામાં આવ્યા છે. સેશન્સમાં આરોપી તરફે કેસ લડવા વકીલ વકીલાતપત્ર રજૂ કરશે. આ કેસમાં જુદા-જુદા વકીલ આરોપી તરફથી આવ્યા છે.
તથ્ય ચશ્માં અને જેક એન્ડ જોન્સની ટી-શર્ટમાં જોવા મળ્યો
કોર્ટમાં આવતા જ બન્ને પાછળ બેઠા હતા અને એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા. તથ્ય ચશ્માં અને જેક એન્ડ જોન્સની ટી-શર્ટ પહેરીને આવ્યો હતો, નંબરનાં ચશ્માં હોય એવું જાણવા મળ્યું હતું. આરોપીઓને વકીલને મળવા ન દેવાતાં કોર્ટે જેલ પોલીસને પ્રશ્ન કર્યા હતા અને પોલીસે કોર્ટ ઓર્ડર માગ્યો હતો. નિયમો પ્રમાણે કાર્યવાહી કરવા કોર્ટે પોલીસને કહ્યું હતું. નહીંતર ટ્રાયલ એક તરફ જાય. આથી જલ ઉનવાલાની આસિસ્ટન્ટ વકીલ અને સોમનાથ વત્સની આસિસ્ટન્ટ વકીલ બંને આરોપીઓને મળ્યા હતા. કોર્ટમાં ચુસ્ત પોલીસ જાપ્તા સાથે બંને આરોપીને લાવવામાં આવ્યા હતા.
ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સેન્ટ્રલ જેલ સાબરમતીથી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને વીડિયો કોફરન્સથી ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. કોર્ટે વકીલ રોક્યા છે કે કેમ પૂછ્યું? તો ઝીલ શાહ(સોમનાથ વત્સના આસિસ્ટન્ટ)નું નામ આપ્યું હતું.
તથ્ય પટેલ સામે 1684 પાનાંની ચાર્જશીટ
તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189 અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. જ્યારે પ્રજ્ઞેશ પટેલ પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વેહિકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.
પ્રજ્ઞેશ પટેલે હાઇકોર્ટમાં કરી છે જામીન અરજી
પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્યએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય સેશન્સ કોર્ટે પ્રજ્ઞેશ પટેલના જામીન ફગાવતા હવે પ્રજ્ઞેશ પટેલની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટમાં કરાઈ છે. જેની પર આગામી દિવસોમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટમાં પ્રજ્ઞેશ પટેલ વતી એડવોકેટ સોમનાથ વત્સે દલીલ કરે તેવી શક્યતા છે.
પ્રજ્ઞેશ પટેલને મોઢાનું કેન્સરઃ નિસાર વૈદ્ય
વચગાળાની જામીન અરજી પર પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્યએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, પ્રજ્ઞેશ પટેલને 2019થી મોઢાના કેન્સરની બીમારી છે. મુંબઈની હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ સ્લીપ ઇ-મેઇલથી મળી છે. અગાઉના ઇલાજને લગતા કાગળો પણ છે. તેની રેગ્યુલર ટ્રિટમેન્ટ ચાલુ છે. કોર્ટ તેની તપાસ કરી શકે છે. તેને કેન્સર જેવી ગંભીર બીમારી છે. જો તેનો ઈલાજ છૂટી જશે તો આ બીમારી બીજા સ્ટેજમાં પહોંચે તેવી શક્યતા છે. અગાઉ જ્યારે અન્ય કેસમાં પ્રજ્ઞેશ પટેલ જેલમાં હતા ત્યારે પેરોલ મળતા સારવાર કરાવી હતી.આ વર્ષ 2021-22ની વાત છે. તેમની 2019થી સારવાર ચાલુ છે.
ધરપકડ સમયે પ્રજ્ઞેશ પટેલે કેન્સરની વાત કરી નહોતી
ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞેશ પટેલે ધરપકડ સમયે અને ત્યારબાદ પણ પોતાને કેન્સર હોવાનું જણાવ્યું નહોતું. પ્રજ્ઞેશ પટેલ પર 10થી વધુ કેસ નોંધાયેલ છે. મૃતકોના પરિવાર દ્વારા પણ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે વાંધા અરજી આપવામાં આવી હતી. ગ્રામ્ય કોર્ટના આદેશ મુજબ અસારવા ખાતે આવેલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 10 દિવસ સારવાર બાદ તેનો રિપોર્ટ કોર્ટને સુપરત કરાશે.