પાંચેક દિવસ પહેલા કેનેડા-અમેરિકા બોર્ડર પર ગાંધીનગરના કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના માઇનસ 35 ડીગ્રી ઠંડીમાં ઠુંઠવાઈને મોત થયા હતા. આ કરૂણાંતિકા દેશ-દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે કેનેડાના વિનીપેગમાં સ્થાયી થયેલા બિઝનેસમેન હેમંતભાઈ શાહે ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ દિવ્યભાસ્કર સાથે વાત કરતા કહ્યું કે, આ વર્ષોથી ગુજરાતીઓ કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદે ઘુસે છે, ત્યારે હવે આ સંદર્ભે ભારત સરકાર અને કેનેડા સરકારે મહત્વનો રોલ ભજવવો પડશે, અને આ પરિવાર અહીં કેનેડા આવ્યો કેવી રીતે તે તપાસ કરવી પડશે.
ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કેનેડા સ્થિત બિઝનેસમેન હેમંતભાઈ શાહે જણાવ્યું હતું કે ભારતીય દુતાવાસ અને સ્થાનિક તંત્ર તેના પર કામ કરી રહ્યું છે. દુતાવાસે આ અંગે પણ સ્ટેટમેન્ટ આપી દીધું છે, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ સાથે કામ કરી રહ્યા છે. અહીંના કાયદા એવા છે કે, તેઓ માહિતી કે મૃતદેહ એટલા જલ્દી નહીં સોંપે.
મૃતકોના સગા વ્હાંલાની પણ ઇન્કવાયરી થઇ રહી છે
હેમંતભાઈ શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય પણ કેનેડાના સતત સંપર્કમાં છે. તેની સાથે સાથે મૃતકોના સગાવ્હાલાની પણ ઇન્કવાયરી થઇ રહી હોવાનું અમને ભારતીય મિડીયા દ્વારા જાણવા મળી રહ્યું છે. જો કે અહીં તપાસ તો ચાલે છે પણ કંઈ ડિકલેર કર્યું નથી. આ ઘટના એક એલાર્મિંગ ઘટના છે. આ પ્રકારની ઘટના થતી રોકવી આપણી અને આપણા સમાજની જવાબદારી છે. જાનના જોખમે આ પરિવારે જે રસ્તો અપનાવ્યો હતો તે ન કરાય, પૈસા અને જાન બંને ગુમાવ્યા છે. ભારત અને કેનેડાની સરકારે સાથે કામ કરવું પડશે અને આ અંગે જાગૃતિ લાવવી પડશે.
અમેરિકાની ઘેલછા કેમ છે તે ખબર નથી પડતીઃ હેમંત શાહ
હેમંતભાઈએ વધુમાં કહ્યું કે, આપણે ત્યાં એનજીઓ, સંસ્થાઓ કે જે તે સમાજે આ પ્રકારની ઘટનામાંથી કંઇ શીખ લઇને ફરી આવી ઘટના ન બને અથવા આવું કામગારી કોઇ ન કરે તે પ્રકારે વાતાવરણ ઉભું કરવું પડશે. ઇમિગ્રેશનનું કામ કરનારાઓને આ વાત નહીં ગમે, મેં એવું સાંભળ્યું કે આ ભાઇએ દોઢ કરોડ ખર્ચીને અમેરિકા જવાની ગોઠવણ કરી હતી. તેની સામે સરકાર આટલા રોકાણથી કેનેડામાં સીધા જ બોલાવીને વિઝા આપે છે. અમેરિકાની ઘેલછા કેમ છે તે ખબર નથી પડતી. તમે ગેરકાયદે જાઓ છો, અને દસબાર વર્ષ અંડરગ્રાઉંડ રહેવું આમ કેવી રીતે રહેવાય. તેથી આ ન કરાય તે બાબતે જાગૃતિ જ લાવવી પડશે તે અંગે સમજાવવા પડશે.
‘ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા સ્વર્ગ સમાન’
હાલમાં વિદ્યાર્થીઓ માટે કેનેડા સ્વર્ગ બની ગયું છે, 60 ટકા યુનિવર્સિટીઝ હિન્દી ભાષીઓની ફી થી ચાલે છે. બે વર્ષ ભણવા આવો ત્રીજા વર્ષથી ઇમિગ્રન્ટ. ગમે તે કોર્ષ હોય પણ યુનિવર્સીટી ભારતીયો પર જ ચાલે છે.
‘ઠંડીના સમયે જવાની સલાહ જ કેવા લોકોએ આપી’
હેમંતભાઈએ આગળ કહ્યું કે કેનેડાએ આ અંગે કડક થવું પડશે, અહીં કેનેડામાં રહેનારા સતત વધુ ઠંડીમાં બહાર જતાં નથી, અહીં સરકાર પણ ફ્રોસ બાઇટની વોર્નિગ આપે છે. ત્યારે આ પરિવારને આવા ઠંડીના સમયે જવાની સલાહ જ કેવા લોકોએ આપી અને આ પરિવારને અમેરિકા જવા અવિચારી કે અતિઉત્સાહી કે ખોટું જોમ કેમ લીધું. કાળજું થીજી જાય તેવી ઘટના છે તેથી અમે માનવતા નથી મરી પરવારી તે વાત પર જ પ્રાર્થના સભા યોજી હતી. હવે અહીં સરકાર વિગતો આપશે ત્યારે બધું બહાર આવશે.
હવે પોલીસ કસુરવારોના નામ બહાર લાવશેઃ લિગલ પ્રેક્ટિશનર
આ કેસમાં હવે શું થશે તે સવાલના જવાબમાં કેનેડામાં રહેતા લિગલ બાબતોના જાણકાર અને લિગલ પ્રેક્ટિશનરે આ મામલે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, હવે તો કાયદાકીય રીતે ઇન્કવાચરી ચાલશે, જે કસુરવાર નામ હશે તે બહાર આવશે અને તે જરૂરી પણ છે. આ ફ્રોડ પ્રકારનો કેસ છે અને ઇમિગ્રેશનના સંદર્ભમાં આ તમામ લોકો પકડાવા જોઇએ અને પોલીસ સત્તાવાર બહાર લાવશે.
ઇમિગ્રેશનના નિયમો કડક થશેઃ લિગલ પ્રેક્ટિશનર
આ ઘટનાની અસર અંગે લિગલ પ્રેક્ટિશનરે જણાવ્યું હતું કે, લાંબાગાળે આ ઘટનાની ખરાબ અસર થશે. આ ઘટના ક્રિમિનલ મેટર પ્રકારની છે, ભારત હોય કે કેનેડા દેશ હવે તેમના ઇમિગ્રેશન નિયમો કડક કરશે. તેમના જનરલ રુલ્સ પણ બદલશે અને તે બધા માટે સારી બાબત પણ પુરવાર થશે. (સૌજન્ય- દિવ્ય ભાસ્કર)