ધંધુકા ખાતે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યાના વિરોધમાં વડોદરા કોંગ્રેસ ઉપપ્રમુખે ઉઘાડા શરીરે માર્ગ ઉપર આળોટતા આળોટતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને આશ્ચર્યજનક કાર્યક્રમ થકી હત્યારા અને કાવતરાખોરોના એન્કાઉન્ટરની માંગ કરી છે.
માંજલપુર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા ધંધુકા ખાતે થયેલી કિશન ભરવાડની હત્યા મામલે હત્યારા અને કાવતરાખોરોને એન્કાઉન્ટરની માંગ કરી હતી અને વડોદરા કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વડોદરા શહેરમાં વિરોધ માંજલપુર વિસ્તારમાં વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહે રસ્તા ઉપર આળોટી અનોખો વિરોધ નોંધાવ્યો છે. સ્પંદન સર્કલથી મકરપુરા પોલીસ સ્ટેશન સુધી ઉઘાડા શરીરે આળોટીને તેમણે વિરોધ સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું અને આરોપીઓના એન્કાઉન્ટર કરવાની માંગ કરી હતી.
ધંધુકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં મોઢવાના નાકે 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી.
આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.