વડોદરાના વાડી વિસ્તારમાં આવેલ પૌરાણિક સ્વામિનારાયણ મંદિરના મુખ્ય દ્વાર પર કોઇક અસામાજિક તત્વો દ્વારા નોનવેજ, ડુંગળી તથા કચરો ઠાલવી હિન્દુઓની લાગણી દુભાય તે રીતે શાંતિમય વાતાવરણમાં પલિતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં અંદાજે 147 વર્ષ જૂનું ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરની આસપાસના વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની બહુમતી વસ્તી આવેલી છે, છતાં ભાઇચારા સાથે અહીં લોકો હળીમળીને રહી એકબીજાના ધર્મ અને તહેવારોને માનસન્માન આપતા હોય છે. પરંતુ રવિવારે કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ટાવર પ્રવેશદ્વાર પાસે ચાર થેલીઓમા ઇંડા, ડુંગળી લસણનો કચરો, પાણીની બોટલ સહિત ઘરનો કચરો ફેંકવામાં આવ્યો હતો. સ્વામિનારાયણના ભક્તોની લાગણીઓ દુભાવવાનો તથા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ અંગે સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામ સ્વામી સાથે હિન્દુ યુવા વાહિનીના આગેવાન એડવોકેટ નરેન્દ્ર મિશ્રા, મંદિરના સેવક અને ભક્ત પ્રકાશભાઇ પટેલ સહિતના સૌ એકત્રિત થયા હતા અને વાડી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં વાડી પોલીસના અધિકારી સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને આસપાસના મુસ્લિમ સમાજના આગેવાનો સાથે પણ ચર્ચા કરી હતી.
આ અંગે મંદિરના સંત ઘનશ્યામ સ્વામી કોઠારીએ જણાવ્યું છે કે, આ ઉપરાંત મહિલાઓના મંદિરની બહાર ભગવાનની મૂર્તિ છે ત્યાં લોકો પેશાબ કરે છે. તેમજ નો-પાર્કિંગ ઝોન હોવા છતાં વાહનો પાર્ક કરવામાં આવે છે અને પેશાબ કરે છે. તેમજ દિવાલ પાસે અભદ્ર વસ્તુઓ નાખવામાં આવે છે. જેથી આ અંગે કોમી વૈમન્સ્ય ન ફેલાય તે માટે આવા લોકો સામે પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.
વાડી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એચ. રાઠવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મંદિરની સામે પ્લાસ્ટિકની કોથળીની અંદર ઇંડાના ફોતરાં મળી આવ્યા છે, કોઇ ઇસમે નાંખ્યા કે કૂતરુ ખેંચી લાવ્યું તે અંગેની તપાસ ચાલુ છે. હાલ 2 પોલીસ જવાનોને મંદિર પાસે બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે.