પાટણ જિલ્લાના રાધનપુરમાં લગ્નના એક દિવસમાં જ દુલ્હન રોકડ 25 હજાર લઇને ફરાર થયાની ઘટના સામે આવી છે. 1.80 લાખની દલાલી આપીને રાધનપુરના યુવકે નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જે લગ્નની પહેલી રાત્રે જ પતિને ચામાં ઘેનની દવા પીવડાવીને રફુચક્કર થઇ ગઇ છે. જોકે, આ અંગે હજુ કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી.
રાધનપુરના લીમગામડાના અને હાલ વિઠ્ઠલનગર-2માં રહેતો યુવક કુવારો હોવાથી કન્યાની શોધતો હતો. આ દરમિયાન સાંતલપુરના માલેગાવના નસરૂદ્દીન રમજાનભાઈ સીપાઈ દ્વારા યુવકને એક દલાલનો કોન્ટેક્ટ થયો હતો. દલાલે અલગ-અલગ છોકરીઓ બતાવી હતી. જેમાથી નીશા મરાઠી નામની યુવતી સાથે લગ્ન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ પેટે 1.80 લાખ રૂપિયાની દલાલી આપવામાં આવી હતી.
દલાલે યુવકને મહારાષ્ટ્ર બોલાવી રૂપિયા લઇને યુવકના લગ્ન કરાવી આપ્યા હતા અને ત્યાંથી યુવક દુલ્હન સાથે 20/5/2022ના રોજ રાત્રે રાધનપુર પોતાના ઘરે આવ્યો હતો. ઘરે આવી સાંજના સમયે ભોજન કરી સુતા હતા, ત્યારે નીશા મરાઠીએ પતિને ચામાં ઘેનની દવા પીવડાવી સુવડાવી દીધો હોતો અને ઘરમાંથી 25 હજારની રોકડ લઇને ભાગી ગઇ હતી.
સાંજે ઘેનની દવામાં બેભાન થયેલો યુવક સવારે જ્યારે જાગ્યો ત્યારે નીશા જોવા મળી નહોતી. ઘરમાં ચેક કરતા મોબાઇલ અને રૂપિયા 25 હજાર પણ નહોતા. આતી યુવક ડઘાઇ ગયો હતો. જેને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જેની તબિયત સુધારા ઉપર થતાં હાલ ઘેર આવી રાધનપુર પોલીસને કરી જાણ કરી છે.
આ અંગે ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે, જારુસાના બે જણાને માલેગાવ જઇ કોરડાના રહીશના વિશ્વાસે 1.80 લાખમાં લગ્ન કરીને લાવ્યો હતો. સાંજે સારી રીતે ખાધું-પીધું અને રાત્રે મને ચા પીવા આપી પછી હું ઊંઘી ગયો.. ત્યારબાદ મને ખબર નથી શું થયું. ઘરમાંથી મારા પાકીટમાંથી રૂ.25 હજાર અને એક મોબાઈલ લઇ ગઈ છે.