એક ખૂબ જ શોકિંગ અને રુંવાટા ઉભા કરી દેતો બનાવ સામે આવ્યો છે. એક મહિલાએ તેની બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરવા માટે જે રીત અપનાવી એ જોઈને પોલીસ પણ ધ્રુજી ગઈ હતી. 50 વર્ષની મહિલાએ આત્મહત્યા કરવા માટે ફ્લેટને સગડીની મદદથી ગેસ ચેમ્બરમાં ફેરવી દીધો હતો. અને બારીઓને ટેપ મારીને સીલ કરી દીઘી હતી. પોલીસને રૂમમાંથી અનેક સુસાઈડ નોટ પણ મળી આવી છે.
દિલ્હીના પોશ વિસ્તાર વસંત વિહારમાં અંજુ નામની વૃદ્ધ મહિલા અંશિકા અને અંકુ નામની બે દીકરીઓ સાથે રહેતી હતી. બીમારીના કારણે મહિલા બેસી નહોતી શકતી. મહિલાનું પતિનું કોરોનામાં મોત નિપજ્યું હતું. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થતા આખો પરિવાર છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો. દરમિયાન ગઈ કાલે આખા પરિવારે આપઘાત કરી લીઘો હતો.
ફ્લેટના તમામ દરવાજા અને બારીઓ પોલીથીનથી બંધ કરેલા હતા અને સિલિન્ડરની નળી ખુલ્લી હતી. નજીકમાં સળગતી એક સગડી પણ મળી હતી. એવું માનવામાં આવે છે કે કોલસાના ધુમાડાને કારણે રૂમમાં ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસ સર્જાયો હતો અને ત્રણેયના ગૂંગળામણથી મોત થયા હતા.
સુસાઈડ નોટમાં લખ્યું- રૂમમાં ઘાતક ગેસ ભરાયેલો છે
સ્થળ પરથી મળેલી એક સુસાઈડ નોટમાં ફ્લેટમાં પ્રવેશતા લોકો માટે સૂચના લખવામાં આવી હતી. તેમાં લખ્યું હતું- રૂમમાં અત્યંત ઘાતક કાર્બન મોનોક્સાઇડ ગેસથી ભરેલો છે, તે જ્વલનશીલ છે. કૃપા કરીને બારી ખોલો અને રૂમને વેન્ટિલેટ કરો. મેચ, મીણબત્તી અથવા કંઈપણ સળગાવવું નહીં. પડદો હટાવતી વખતે સાવચેત રહો, કારણ કે રૂમમાં ખતરનાક ગેસથી ભરેલો છે, શ્વાસ ન લેવો.
કામવાળી મહિલાએ પાડોશીઓને જાણ કરી હતી
અગાઉ ફ્લેટમાં કામ કરતી એક મહિલાના કહેવા પ્રમાણે, અંજુ રૂપિયા ન હોવાને કારણે પરેશાન હતી. અંજુના ઘરે કામ કરતી વાલીબાઈ સવારથી ઘણી વખત ફ્લેટ પર ગઈ, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહીં કે ફોન ઉપાડ્યો નહીં. બાઇએ પાડોશીઓને આ વાતની માહિતી જણાવી હતી. પાડોશીઓએ બારીમાંથી ફ્લેટમાં અંદર જોવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ગેસની ગંધ આવી રહી હોવાનું લાગી રહ્યું હતુ. પોલીસને શનિવાર રાત્રે લગભગ 9 વાગે આ ઘટનાની જાણ થઈ હતી.
ગયા વર્ષે પતિનું મૃત્યું થયુ હતુ
પાડોશીઓએ પોલીસને જણાવ્યું હતુ કે મહિલાના પતિનું ગયા વર્ષે જ કોરોનાથી મૃત્યું થયુ હતુ. ત્યારથી જ આ પરિવાર પરેશાન હતો. પોલીસે જણાવ્યું હતુ કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમનું મોત કયા કારણે થયું તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.