ભરૂચનાં શાલીમાર કોમ્પલેક્ષનાં એક જાણીતા થિયેટરમાં જવા માટેની લિફ્ટમાં બે બાળકો ફસાયા હતાં. જેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમની મદદથી બન્ને બાળકોને એક કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનાને કારણે બે બાળકો ઘણાં જ ગભરાઈ ગયા હતાં અને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા હતાં.
ભરૂચના જાણીતા થિયેટરમાં ઓમ મોદી અને શ્રેયાંસી મોદી લિફ્ટમાં ફસાઈ ગયા હતાં. ઓમ મોદીએ આ અંગે જણાવતાં કહ્યું હતું કે, અમે બંન્ને પિક્ચર જોવા જતાં હતાં ત્યારે લિફ્ટ થોડી જ ઉપર ગઈ અને બંધ થઈ ગઈ હતી. અમે ઘણી જ બૂમો પાડી હતી ત્યાર બાદ કોઈએ અમારો અવાજ સાંભળ્યો હતો. અંદર કોઈ પંખો કે કંઈ ન હતું જેના કારણે અમને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થતી હતી.
થોડી જ વારમાં લોકો અમને લિફ્ટમાંથી બહાર કાઢવાનાં પ્રયત્નો શરૂ કરી દીધો હતો. અમે એમને પૂછ્યે કે કેટલી વાર થશે તો એક જ જવાબ આપે કે બે મીનિટમાં થઈ જશે. અમારી પાસે અંદર ફોન હતો એટલે મમ્મીને ફોન કર્યો હતો.
આ દુર્ઘટનાને કારણે આખા શાલીમાર કોમ્પલેક્ષમાં દોડાદોડી થઈ ગઈ હતી. બાળકો લિફ્ટમાં ફસાતાં પરિવારજનોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બંન્ને બાળકો બહાર આવ્યાં બાદ જ એમને શાંતી થઈ હતી.