અમદાવાદઃ ભારતીય વાયુસેનાના ગૂમ થયેલા વિમાન AN-32નો ભંગાર આખરે અરુણાચલના સિયાંગ જિલ્લામાં મળી આવ્યો છે. જોકે વાયુસેના હાલ આ પ્લેનમાં રહેલા 13 જેટલા વ્યક્તિઓની વર્તમાન સ્થિતિ અંગે જાણવા અને આ વિમાનના ભંગાર સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે આ સાથે જ વાયુસેનાએ બચાવ કાર્ય માટે એક રૂપરેખા તૈયાર કરી છે.
બીજી તરફ આ વિમાનને લઈને પાટીદાર અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પોતાના એકાઉન્ટ પરથી એક એવું ટ્વિટ કર્યું હતું જેના કારણે તે સતત ટ્રોલ થઈ રહ્યો છે. હાર્દિક પટેલ પોતાના ટ્વિટમાં સની દેઓલની ‘ગદ્દર’ ફિલ્મની સ્ટાઈલમાં PM મોદીને ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની સલાહ આપતા ‘ચીન મુર્દાબાદ’નો નારો લખ્યો હતો.
ગૂમ થયેલા પ્લેન અંગે લખતાં હાર્દિકે હિંદીમાં ટ્વિટ કરી હતી કે, ‘ચીન મુર્દાબાદ હતું અને રહેશે. ચીનને કહેવા માગીએ છીએ કે અમારું વિમાન AN-32 અને જવાન પરત કરો. મોદી સાહેબ તમે ચિંતા ન કરો, અમે બધાં જ તમારી સાથે છીએ. ચીન પર સર્જિકલ સ્ટ્રાઈક કરો અને આપણા જવાનને પરત લાવો.
चीन मुर्दाबाद था और मुर्दाबाद ही रहेगा।
चीन को कहना चाहते है की हमारा विमान AN-32 और जवान वापिस करें। मोदी साहब चिंता मत करों, हम सब आपके साथ हैं।चीन पर सर्जिकल स्ट्राइक कीजिए और हमारे जवान को वापिस लाइए.— Hardik Patel (@HardikPatel_) June 11, 2019
બસ હાર્દિકનું આ ટ્વિટ કરવું અને તરત જ લોકોએ સોશિયલ મીડિયા પર હાર્દિકના ક્લાસ લેવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સે હાર્દિકને તેના કરન્ટ અફેર નોલેજ માટે ખૂબ ટ્રોલ કર્યો હતો. એક યુઝરે કહ્યું હતું કે, પ્લેનનો ભંગાર તો અરુણાચલમાં મળ્યો છે તે ક્યાંરથી ચીનનો ભાગ બની ગયું. થોડા સમાચારો પર પણ ધ્યાન આપો.
જ્યારે એક અન્ય યુઝર્સે હાર્દિક પટેલની ટીખળ કરતા કહ્યું હતું કે, તમે ચિંતા નહીં કરતા પ્લેનનો ભંગાર મળી ગયો છે. સમાચારોને જુઓ અને સાંભળવાનું રાખો યાર’ જ્યારે કેટલાક યુઝર્સે તો પૂછી લીધું કે, તને કઈ રીતે ખબર પડી કે ભારતનું આ વિમાન ચીનના કબ્જામાં છે. જ્યારે કેટલાકે તેને ફેક્ટ ચેક કર્યા વગર ટ્વિટ ન કરવા સલાહ આપી દીધી હતી.