ગાંધીનગર: અરબી સમુદ્રમાં વેરાવળથી 380 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે લગભગ બેથી ત્રણ વાગ્યા આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 120 -145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે.
‘વાયુ’ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચે તેવી સંભાવના છે.
આ દરમિયાનમાં વાવાઝોડા પહેલાં સુરત અને તાપી જિલ્લામાં તથા ડેડીયાપાડા તાલુકામાં વરસાદ સંબંધિત ઘટનામાં કુલ પાંચ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે તેમાંથી ત્રણ વ્યક્તિના વીજળી પડવાથી અને બે વ્યક્તિના ઝાડ પડવાથી મોત નિપજ્યાં છે.
NDRF, SDRF, આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, રાજ્ય પોલીસ, મરીન પોલીસ, ફાયરબ્રિગેડ બચાવ-રાહત માટે તહેનાત કરી દેવામાં આવી છે. જ્યારે એરફોર્સના સી-17 વિમાનમાં NDRFના 160 જવાનોને વિજયવાડાથી ગુજરાત ખસેડવાની તૈયારી કરી દેવામાં આવી છે.