પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારો આરોપી ફેનિલ ગોયાણી બુધવારે કોર્ટમાં ચાલુ ટ્રાયલ દરમિયાન જ ઢળી પડયો હતો. કોર્ટે તાત્કાલિક આરોપીની સારવાર કરવા જણાવતા તેને સિવિલ લઇ જવાયો હતો. જ્યાં તેની ટ્રીટમેન્ટ બાદ મેડિકલ પેપર્સમાં ડોકટરે તેની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે આરોપી જાણીજોઇને આંખો બંધ કરી રહ્યો છે, તેના શરીરમાં કાર્બન વધી ગયુ છે.
સાઇકાટ્રિક વિભાગમાં પણ તેની ચકાસણી કરવામાં આવી હતી જેમાં વધી રહેલાં ટેન્શનના લીધે તે બેભાન થયો હોવાનું તારણ સપાટી પર આવ્યું હતું.ટ્રાયલ શરૂ થતાં જ દોઢ વાગ્યાના અરસા દરમિયાન કઠેડામાં બેસેલો આરોપી ફેનિલ ઢળી પડતા તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી, અને સ્ટ્રેચર પર તેને કોર્ટની બહાર લઇ જવાયો હતો. સિવિલમાં તેની સારવાર બાદ બપોર બાદ ફરી ટ્રાયલ શરૂ થઈ હતી.
પ્રેશર લો થતાં આરોપીએ ખાવા માટે લાડુ માંગ્યો: કોર્ટમાં ઢળી પડ્યા બાદ આરોપીને સિવિલમાં લઇ જવાયો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં ગ્રીષ્મા હત્યાકાંડના આરોપી ફેનિલ ગોયાણીની સારવાર ચાલી રહી હતી ત્યારે ડોકટરે તેની સ્થિતિ અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આરોપીએ કહ્યુ હતુ કે ‘માથુ દુ:ખે છે, વિચારો બહુ આવે છે, ઊંઘ આવતી નથી, બોડી દુખે છે, ચક્કર આવે છે, ગભરામણ થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આરોપી ફેનિલ ગોયાણીએ તેનું પ્રેશર લો થઇ જતાં લાડુ ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે કોર્ટ તેની મંજૂરી આપી નહતી.
સિવિલમાં બે વિભાગે તપાસ કરી : આરોપીને સિવિલ લવાયા બાદ મેડિસિન અને સાઇકાટ્રિક વિભાગમાં તપાસ કરાઈ હતી. આરોપીને લીંબુ પાણી પીવડાવ્યા બાદ તેનું ચેકઅપ કરવામાં આવ્યુ હતુ સાઇકાટ્રિસ્ટે જણાવ્યુ કે આરોપી ટેન્શન-ડિપ્રેશનના લીધે તે બેભાન થયો હોય એમ લાગે છે.
મૃતક ગ્રીષ્માના કાકાની જુબાની લેવામાં આવી: આજે ટ્રાયલ દરમિયાન હત્યા સમયે હાજર ગ્રીષ્માના કાકાની જુબાની લેવામાં આવી હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરતપાસ કરી હતી જ્યારે આરોપી પક્ષે એડવોકેટ ઝમીર શેખે ઉલટ તપાસ કરી હતી. હવે આવતીકાલ ગુરુવારના રોજ નજરે જોનારા અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.