જૂનાગઢની એક પરીણિતાને પ્રસુતિ દરમિયાન બ્રેઇન ડેડ જાહેર થતા હ્રદય, બે કિડની, લિવર અને ફેફસાંનું દાન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં જૂનાગઢની એક મહિલાને પ્રસુતિ દરમિયાન બ્રેઇન ડેડ જાહેર કરાતા તેના અંગોનું દાન કરવાનો પરિવારે નિર્ણય લીધો હતો. મહિલાના અંગોને મેંદાતા હોસ્પિટલ, ગુડગાવ અને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જૂનાગઢની પરીણિતાને પ્રસુતિ દરમિયાન શારીરિક તકલીફ થતા તેને બ્રેઈન ડેડ જાહેર કરાઇ હતી.
મૂળ રાજકોટ જિલ્લાના ધોરાજી ગામની યુવતી ક્રિષ્નાબેનના લગ્ન જૂનાગઢમાં રહેતા જયદીપ હીરપરા સાથે થયા હતા અને નવ માસ બાદ ક્રિષ્નાબેનને પ્રસૂતિ દરમિયાન તકલીફ ઉભી થઇ અને ધીમે ધીમે તે કોમામાં ચાલ્યા ગયા હતા. રીબર્થ હોસ્પિટલના ડોકટરો દ્વારા તેમની ડિલીવરી કરાવવામાં આવી પણ મૃત બાળકી જન્મી હતી.
ત્યારબાદ ક્રિષ્નાબેનની તબિયત વધુ બગડી હતી. ત્રણ દિવસ સુધી ICU માં સારવાર આપ્યા બાદ પણ તેની તબિયતમાં કોઈ સુધારો ના થતા તેને બ્રેઈન ડેડ જાહેર કરાઇ હતી. ત્યારે તેમના પિયર પક્ષના અને સાસરિયાઓએ ક્રિષ્નાબેનના હ્રદય, કિડની, લિવર અને ફેફસાનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો.
રીબર્થ હોસ્પિટલના ડોકટર આકાશ પટોળીયા અને તેમની ટીમ દ્વારા અમદાવાદ જાણ કરવામાં આવી અને ડોકટરો દ્વારા તેમના અંગોને કાઢી ગ્રીન કોરીડોર મારફતે રાજકોટ મોકલવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં પ્રથમ વાર બે કોરીડોર બન્યા હતા. જેમાં ફેફસાંને રાજકોટ અને ત્યાર બાદ મેંદાતા હોસ્પિટલ ગુડગાવ મોકલવામાં આવ્યા હતા અને હ્રદય, લીવર અને કિડનીને રાજકોટ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. ત્યારે આકાશ પટોળીયા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. જો આવા કિસ્સામાં લોકો પોતાના પરિવાર જનોના અંગોના દાનનો નિર્ણય કરે તો બીજા અન્ય લોકોની જિંદગી બચી શકે.