મુંબઈઃ દેશને હવે કોરોનાની બીજી લહેરમાં આંશિક શાંતિ થઈ છે. બીજી લહેરે દરેક રીતે નુકસાન પહોંચાડ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા લૉકડાઉન કરવામાં આવ્યું હતું. આ જ કારણે અહીંયા ફિલ્મ તથા ટીવીના શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યા હતા. ટીવી પ્રોડ્યૂસર્સ રાજ્યની બહાર જઈને શૂટિંગ કરવા મજબૂર બન્યા છે. ‘તારક મહેતા’ની ટીમ ગુજરાતમાં દમણમાં શૂટિંગ કરી રહી છે.
નટુકાકાએ કહી આ વાત: ‘તારક મહેતા’ની ટીમ ગુજરાતમાં છે. જોકે, અહીંયા અબ્દુલ તથા નટુકાકા સિવાય ગોકુલધામના પુરુષો એટલે કે એક્ટર્સ છે. એક્ટ્રેસિસ તથા ટપુસેના શૂટિંગ કરતા હતા. નટુકાકા છેલ્લાં ઘણાં મહિનાથી શૂટિંગ કરતા નથી. આથી જ એવી ચર્ચા થવા લાગી કે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક આર્થિક તંગીમાંથી પાસર થઈ રહ્યાં છે. નટુકાકાએ આ સમ્રગ મુદ્દે વાત કરી હતી.
શું કહ્યું? નટુકાકાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકો કેમ આટલું નેગેટિવ વિચારે છે. આવી વાતો કેમ ફેલાવે છે. તેમણે શોમાંથી બ્રેક લીધો નથી. આ સમયે દરેક મજબૂર છે. સીનિયર આર્ટિસ્ટ કોરોનાને કારણે રાજ્યની બહાર જઈ શૂટિંગ કરતા નથી. કોરોનાના કેસ વધારે હોવાથી તે દરેક પ્રકારની સાવચેતી રાખે છે. શોના પ્રોડ્યૂસર્સે તેમની ભલાઈ માટે જ આ નિર્ણય લીધો છે અને તે સાચો છે. બધું જ ઠીક થતાં તેઓ જલ્દીથી સેટ પર કમબેક કરશે.
આર્થિક તંગી અંગે આ વાત કહીઃ આર્થિક તંગી અંગે નટુકાકાએ કહ્યું હતું કે તેમને કોઈ આર્થિક તંગી નથી. તે ઘરે ઘણી જ મજા કરે છે. તેમના બાળકો આ સમયે જરૂરિયાતમંદોને મદદ કરે છે. તેમને આ જોઈને આનંદ થાય છે કે તેઓ કોઈના તો કામમાં આવી રહ્યાં છે. તે બેરોજગાર નથી.
ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી ટીવી પર આવે છે. આ સિરિયલના દરેક કલાકારો ઘણાં જ લોકપ્રિય છે. નોંધનીય છે કે નટુકાકાને ગયા વર્ષે ગળાનું કેન્સર થયું હતું. તેમણે સારવાર કરાવી હતી. 2021માં નટુકાકાએ માત્ર 4 એપિસોડ જ શૂટ કર્યા હતા.