ચંદીગઢઃ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે નામ લીધા વગર મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને આડે હાથ લેનાર નવજોત સિંહ સિદ્ધુ આજકાલ સીએમની નજરમાં છે. કેપ્ટન અમરિંદર સિંહ પણ નવજોત સિંહને બદલી નાખવા માગે છે. જોકે, આ સમય દરમિયાન નવજોતે શાયરી ટ્વીટ કરી હતી.
નવજોતે આ શાયરી ટ્વીટ કરીઃ
सितारों से आगे जहां और भी हैं, अभी इश्क के इम्तिहां और भी हैं
तू शाहीन है, परवाज है काम तेरा, तेरे सामने आसमां और भी हैं
गए दिन कि तन्हा था मैं अंजुमन में, यहां अब मेरे राजदां और भी हैं।
રાજકીય હલચલઃ
સિદ્ધુની આ ટ્વીટ પર રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. અનેક રાજકીય પંડિતોના મતે, સિદ્ધુ પોતાના માટે નવી રાહ શોધી રહ્યો છે. અમરિંદર સિંહની નજરમાં આવતા જ તેમણે સિદ્ધુને હાંસિયામાં ધકેલી દીધો છે. દિલ્હીમાં થયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી પહેલાં ચર્ચા હતી કે સીએમ અમરિંદર પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીન મળીને આ અંગે વાત કરશે પરંતુ તેમ થયું નહીં.
રાહુલ ગાંધીએ સમય ના આપ્યોઃ
સૂત્રોના મતે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેપ્ટન અમરિંદર સિંહને મળવાનો સમય આપ્યો નહીં. આથી જ તેઓ દિલ્હીમાં રોકાઈ ગયા અને રાહુલ પાસે મળવાનો સમય માગ્યો છે.
કેપ્ટનને જવાબ આપી શકે છે સિદ્ધુઃ
સિદ્ધુની આ ટ્વીટ પર અલગ-અલગ અનુમાનો લગાવવામાં આવે છે. કહેવાય છે કે આગામી દિવસોમાં કેપ્ટન અમરિંદર સિંહ પર હુમલો બોલાવશે અને દરેક નગરપાલિકા તથા નગરનિગમને આપવામાં આવેલા ફંડોના આધાર પર જે શહેરોમાં કોંગ્રેસની જીત થઈ છે, તેનો જવાબ કેપ્ટનને આપશે. અન્ય ચર્ચા એવી પણ છે કે સિદ્ધુ પાર્ટી છોડી દેશે.
સોશિયલ મીડિયા યુઝર્સે મજાક ઉડાવીઃ
નવજોતની ટ્વીટને લઈ સોશિયલ મીડિયા યુઝર્સે મજાક ઉડાવી છે. લોકોએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીથી હારી જાય તો તમે સંન્યાસ લેવાના હતાં, તેનું શું થયું? અન્ય કેટલાંક યુઝરે કહ્યું હતું કે પહેલાં રાજીનામુ અને પછી શાયરી.. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હારી જશે તો તે રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. આથી જ હવે સોશિયલ મીડિયા યુઝર્સ સિદ્ધુ પાસેથી રાજીનામુ માગી રહ્યાં છે.