પતિના નિધન બાદ પણ પુત્રવધૂએ સાસુ-સસરાની ખૂબ સેવા કરી, સાસુએ પુત્રવધૂના ફરી લગ્ન કરાવ્યા
સાસુ અને વહુનો સંબંધ એકબીજામાં રહેલી ભૂલો શોધવા માટે પ્રખ્યાત છે. સાસુ પોતાની વહુને પોતાનાથી નીચી રાખવા માંગતી હોય અને તેઓ વચ્ચે ક્યારે પ્રેમ જોવા મળતો નથી તેવા અનેક દાખલાઓ આજે જોવા મળી રહે છે. પરંતુ નવસારીની એક સાસુએ પોતાની વહુને દિકરી સમાન ગણી તે વિધવા થતા તેને બીજી જગ્યાએ પરણવાનો વિચાર લાવી અને તેનો અમલ કરાવી સમાજમાં એક દાખલો બેસાડી દીધો છે. વહુને વહુ નહીં પરંતુ દીકરી માનવા માટે લોકોને પ્રેરણા આપી છે.
વાત છે નવસારીના મૂળ ઘાંચી સમાજના જયાબેન અમૃતભાઈ ગાંધીની કે જેમનો દીકરો આજથી ત્રણ વર્ષ અગાઉ કોમ્પ્યુટર ક્લાસ ચલાવતી વખતે હદય રોગના હુમલાથી અવસાન પામ્યો હતો. જેને લઇને તેની પત્ની સ્વીટીબેન વિધવા થયા હતા. ત્યારે તેમને એક નવ વર્ષનો દીકરો પણ હતો. જે આજે બાર વર્ષનો થયો છે. તેમ છતાં સ્વીટીબેન પોતાની સાસુ સસરા સાથે રહી પરિવારની સેવા કરતી હતી. ઘરમાં રોજ વહુને જોઈ તેમને વિચાર આવ્યો કે આ વહુ મારી દીકરી છે અને મારી દીકરી વિધવા હોય તો એને થોડી ઘરમાં બેસાડી રખાય? જેથી તેને અન્ય સાથે પરણાવી વિદાય આપવાનો વિચાર જયાબેનને આવ્યો અને તેમણે સારા છોકરાની શોધ આદરી હતી.
જેમાં સુરતના ઉધના ખાતે રહેતા દિવ્યેશ ભરૂચા નામના યુવક સાસુને પોતાની વહુ માટે પસંદ આવ્યો. દિવ્યેશની પત્ની અને માતા દોઢ વર્ષ અગાઉ કોરોનામાં અવસાન પામ્યા હતા. ત્યારે આ યુવાન સારી જગ્યાએ નોકરી કરતો હોય અને હાલમાં એકલો જ હતો. જેથી સાસુએ પોતાની વહુને આ યુવાન સાથે વાતચીત કરાવી, મુલાકાત કરાવી એકબીજાને બંનેએ પસંદકરતા સાસુએ પોતાની વહુના આજરોજ નવસારી શાકભાજી માર્કેટ સામે આવેલા વિષ્ણુ ભગવાન મંદિર ખાતે લગ્ન કરાવ્યા હતા.
સાસુના આશીર્વાદ સ્વીટીએ દિવ્યેશ સાથે સાત ફેરા લઈને પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂઆત કરી છે. કોઈપણ પરિવારની વહુ વિધવા થાય તો તેને ઘરમાં ન બેસાડી રાખી અન્ય જગ્યાએ તેનો સંસાર મંડાય તેવા પ્રયાશો દરેક સાસુ કરે તે માટે જયાબેન દ્વારા દાખલો બેસાડવામાં આવ્યો છે.