હૈદરાબાદ વિસ્તારના એક આંતરિયાળ ગામમાં એક યુવકે પોતાની 30 વર્ષિય પત્નીનું નાક પર બચકું ભરીને કાપી નાખ્યું હતું. જોકે પત્ની તેની સાથે સાસરીમાં જવાની ના પાડી દીધું હતું. જેને લઈને આરોપી પતિએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને પત્નીનું કાપેલું નાક લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પતિ પોતે જ પોલીસ સ્ટેશન હાજર થયો હતો. મહિલાને લખીમપુરના ટ્રામા સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે.
સુત્રો પ્રમાણે, ફરઘાન વિસ્તારના ગામ રતસિયામાં સંજય કુમારના બીજા લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા હૈદરાબાદ વિસ્તારના ઢકિયામાં રહેતા શિવરામના 28 વર્ષિય પુત્રી વંદના સાથે થયા હતાં. સંજયની પહેલી પત્નીની હત્યા થઈ ગઈ હતી અને તેના થોડા જ સમયમાં તેણે વંદના સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ લગ્નના થોડા સમય બાદ બન્ને વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે વંદના પોતાના માતા-પિતાના ઘરે રહેતી હતી.
પત્નીને લેવા માટે જ્યારે સંજય સાસરીમાં પહોંચ્યો તો તેણે સાથે જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેને લઈને પતિ-પત્નીની વચ્ચે વિવાદ થયો હતો. ગુસ્સામાં સંજયે પત્ની વંદનાના નાક પર બચકું ભરી કાપી નાખ્યું હતું અને કપાયેલ નાક લઈને પોલીસ પાસે પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની કહાની સાંભળીને પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત વંદનાને લખીમપુરમાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ આ ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જો આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાવવામાં આવશે તો આરોપીની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જોકે યુવકની આ હરકત વિશે તેના પરિવારને જાણ કરવામાં આવી છે જ્યારે વંદનાના પરિવારજનો તેની સારવારમાં લાગેલા છે.