રાજકોટમાં એક હચમચાવી દેતો અને અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. બે સગાભાઈઓએ ઝેર દવા પી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. બે વેપારી ભાઈઓએ ઓફિસ અંદર ઝેરી દવા પી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ કરતા આર્થિક સંકડામણ હોવાનું કારણ બહાર આવી રહ્યું છે. છતાં બંને ભાઈઓએ શા માટે આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ બે ભાઈઓ વિપુલ સૂચક અને યતીન સૂચકે બનાદાસ નામની પેઢીમાં ઓફિસ અંદર ઝેરી દવા પી આપઘાત કર્યાનું સામે આવ્યું છે. જેમાં બન્નેએ કપાસમાં નાખવાની મોનાકોટા નામની ઝેરી દવા પી લેતા સ્થળ પર જ બંનેનું પ્રાણ પખેરું ઉડી ગયાનું જાણવા મળ્યું છે.
બંને ભાઈઓએ શટર બંધ કરીને વિષપાન કરી લીધાનું અનુમાન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.આ અંગે તેમના એક સંબંધીએ મીડિયાને જણાવ્યું હતું કે, પરિવારમાં પૈસાને લઈને કોઈ પ્રકારની ચિંતા નહોતી. બન્ને એ આવું પગલું કેમ ભર્યું એ સમજાતું નથી
યતીન સૂચક મેડિકલ સ્ટોર ધરાવતા હતા
મૃતક વિપુલ સૂચક બનાદાસ ટ્રેડિંગ નામની પેઢી સંચાલન કરતા, જયારે યતીન સૂચક મેડિકલ સ્ટોર ધરાવતા હતા.પરિવારમાં યતીન સૂચક મોટા હતા અને વિપુલ નાના ભાઈ હતા. આજે અચાનક બંને ભાઇ સાથે આવી રાજકોટ યાર્ડમાં પોતાની પેઢીની ઓફિસમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
ઓફિસમાં પલાઠીવાળી બંને ભાઇએ સામસામે બેસી ઝેરના ઘૂંટડા ભર્યા
બે ભાઇઓના આપઘાતની જાણ થતાં કુવાડવા પોલીસ સ્થળ પર પહોંચી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, લાશ જે સ્થિતિમાં મળી હતી તે મુજબ બંને ભાઇઓ ઓફિસમાં નીચે પલાઠી વાળીને સામસામે બેઠા હતા. ઝેરી દવાની બે બોટલ અને પાણીની એક બોટલ સાથે રાખી હતી, બંને ભાઇએ પોતપોતાની બોટલમાંથી ઝેરી દવાના ઘૂંટડા ભર્યા હતા. દવા પીવાથી યતિનભાઇ એક તરફ અને વિપુલભાઇ બીજીબાજુ પટકાયા હતા અને બંનેના સ્થળ પર જ મૃત્યુ થયા હતા.