આજે ફ્રેન્ડશિપ ડે છે. મિત્રતા માટે કહેવત છે કે, મિત્ર હોય તો ઢાલ સરીખો હોય. ઇતિહાસમાં મિત્રતાના ઘણા કિસ્સાઓ અમર છે. આવી જ એક મિત્રતા જેતપુરમાં જોવા મળે છે. જીવતાં હોઇએ ત્યારે મિત્રતા નિભાવી શકાય પરંતુ જો કોઇ મિત્ર દુનિયાને અલવિદા કહી જાય, તો મિત્રતાને કેવી રીતે જીવંત રાખશો? આનો જવાબ આપતો એક રસપ્રદ કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે. પોતાના મિત્રએ ફાની દુનિયામાંથી વિદાય લીધા બાદ આ વ્યક્તિ તેને ભગવાનની જેમ પૂજે છે.
જેતપુરના સ્મશાનમાં અનેક મૂર્તિઓ છે અને લોકો તેની પૂજા કરતા જોવા મળે છે. અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતો વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે. આપણે જેતપુરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલ ચંદુભાઈ મકવાણાની વાત કરી રહ્યા છે. રોજ સવારે ચંદુભાઈ જેતપુરના સ્મશાનમાં જાય છે અને એક મૂર્તિ પાસે જઈને તેની પૂજા કરે છે. ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે તે કોઈ ભગવાનની મૂર્તિ નથી. આ મૂર્તિ તેમના પરમ મિત્ર અપ્પુ જોગરણાની છે.
અપ્પુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના ગાઢમિત્ર હતા. બન્ને મૂળ ભાવનગરના રહેવાસી હતા. જે બાદ ચંદુભાઈ પોતાના કામધંધા માટે જેતપુર આવી ગયા હતા. આ દરમિયાન અપ્પુભાઇનું અકસ્માત થયું હતું. અકસ્માતના સમાચાર મળતાં ચંદુભાઇ તેમને મળવા પહોંચે તે પહેલાં જ અપ્પુભાઇ દુનિયા છોડી ગયા હતા.
મિત્રના નિધન બાદ તેની યાદ તાજી રાખવા માટે ચંદુભાઇએ અનોખી રીત શોધી કાઢી. તેમણે મિત્રની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી, આજે પણ ચંદુભાઈ દિવસની શરૂઆત અને ઘરેથી નીકળે એટલે પ્રથમ તે તેમના મિત્રની પૂજા કરતાં હોય છે.
આજના કલિયુગમાં ચંદુભાઈની તેમના મિત્ર માટેની આસ્થા અને મિત્રતા જોઈને કોઈને પણ ઈર્ષા થાય તે ચોક્કસ છે.
લોકો તેમની આ મિત્રતા જોઇને આશ્ચર્યમાં મૂકાઇ જતાં હોય છે અને તેમની આ અમર મિત્રતા સમગ્ર વિસ્તારમાં જાણીતી છે.