યુવતીઓમાં ખાસ કરીને ગુજરાતી યુવતીઓને લગ્ન કરીને વિદેશ જવાનો ખૂબ મોહ હોય છે. જો મુરતિયો પસંદ કરવામાં ધ્યાન ન રાખવામાં આવે તો ક્યારેય જિંદગી બરબાદ થઈ જાય છે. આવો જ એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષ પહેલા પરિણીને અમેરિકા સ્થાયી થયેલી યુવતી સાથે જે થયું એ વાંચીને હચમચી જશો.
ન્યુયોર્કમાં 30 વર્ષીય ભારતીય મૂળની મહિલાએ કથિત રીતે તેના પતિ અને સાસરિયાઓ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને આત્મહત્યા કરી હતી. હૃદયદ્રાવક વીડિયોમાં, મનદીપ કૌર નામની એક મહિલાએ તેની આપવીતી વર્ણવી હતી.
વીડિયોમાં મનદિપ નામની મહિલાએ કહ્યું કે “તેઓએ મને મરવા માટે મજબૂર કરી છે. મારા મૃત્યુ માટે જવાબદાર લોકો મારા પતિ અને મારા સાસરિયાં છે. તેઓએ મને જીવવા ન દીધી. છેલ્લા 8 વર્ષથી તે હંમેશા મને મારતો હતો”
મનદીપ પોતાના વિડિયોમાં કહી રહી છે કે, “મેં છેલ્લા 8 વર્ષથી મારા પતિનો ત્રાસ સહન કર્યો છે કે તે એક દિવસ સુધરી જશે પરંતુ એવું ના થયું. તેણે છેલ્લા 8 વર્ષથી મારી સાથે મારપીટ કરતો હતો. મેં બધો પ્રયત્ન કર્યો. મારી સાથે દરરોજ દુર્વ્યવહાર થાય છે. હું હવે ત્રાસ સહન કરી શકતી નથી.”
મનદીપે તેના પતિ પર બેવફાઈનો આરોપ પણ લગાવ્યો છે. મનદીપે વીડિયોમાં કહ્યું, “તે મને બહુ મારે છે. તેના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે. જ્યારે મે તેના અનૈતિક સંબંધનો વિરોધ કર્યો હતો તે મારી પિટાઈ કરતો. દારૂ પીને મને રોજ મારતો હતો.”
ઉત્તર પ્રદેશના બિજનૌરમાં મનદીપના પરિવારજનોએ પણ બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મનદીપે આરોપ લગાવ્યો કે તેના પતિએ તેનું અપહરણ કર્યું અને ત્રણ દિવસ સુધી મારપીટ કરી. જે બાદ તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું હતું.
મનદીપે દાવો કર્યો હતો કે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તેનો પતિ તેની પાસે આવ્યો અને ફરિયાદ પાછી ખેંચી લેવા વિનંતી કરી હતી. ફરિયાદ પાછી ખેંચવાની વાત કરતાં મનદીપે કહ્યું હતું કે, મેં લગ્ન બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મારા સાસરિયાઓએ તેમ થવા દીધું ન હતું.
કથિત રીતે તેના મૃત્યુ પહેલા શૂટ કરાયેલા એક વીડિયોમાં, મનદીપે કહ્યું, “તે ભગવાનને જવાબદાર રહેશે અને કર્મ તેને જોશે.”
“તેણે મને મરવા માટે મજબૂર કરી છે. મને મારા બાળકોને છોડીને દુનિયા છોડવા માટે મજબૂર કરવામાં આવી છે.”
મનદીપની આત્મહત્યા બાદ ભારતીય મૂળની મહિલાને ન્યાય મળે તે માટે ઈન્ટરનેટ પર ‘કૌર મૂવમેન્ટ’ પણ શરૂ કરવામાં આવી હતી. કૌરને ચાર અને છ વર્ષની બે દીકરીઓ છે.